Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે.

 

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.10

માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે. મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઊમટશે, તેની તૈયારીઓ રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત આ મહોત્સવ સ્થળ 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવી છે. મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવનઘડતરની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક-આધ્યાત્મિક બાબતો જીવનમાં નવી રીતે શીખવાની અને અપનાવવાની એક તક પૂરી પાડે છે.

  • મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્યાં છે. કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.

    default
  • મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, શ્રી નરસિંહ મહેતા, શ્રી મીરાંબાઈ તેમજ શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે. 
  • મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. જેમાં ચોવીસેય કલાકોની પ્રસ્તુતિ દર્શનીય છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે. 
  • દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલ 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ – શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન શ્રી રાધા-કૃષ્ણ, ભગવાન શ્રી સીતા-રામ, ભગવાન શ્રી ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકો શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ શોભે છે.
  • મહોત્સવના વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 180 ફૂટ પહોળા મંચ પર 300 થી વધુ કલાકાર બાળકો-યુવકો પ્રસ્તુતિ કરશે, જેને એક સાથે 20,000 કરતા વધુ પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસીને માણી શકશે. 
  • મહોત્સવ સ્થળે રચાયેલા 5 વિશાળ અને પ્રભાવક પ્રદર્શન ખંડોમાં પાંચ વિવિધ થીમ દ્વારા પ્રેરણાઓ આપવામાં આવશે. જેમાં टूटे हृदय, टूटे घर પ્રદર્શન પારિવારિક સંવાદિતાની દિશા ચીંધે છે. चलो, तोड दें ये बंधन પ્રદર્શન વ્યસનોના  બંધનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. मेरा भारत, हमारा भारत પ્રદર્શન ભારતના ગૌરવની વાત માંડે છે. संत परम हितकारी પ્રદર્શન પ્રમુખસ્વામી મહારાજની વિરલ પ્રતિભાનું દર્શન કરાવે છે. અહીં આઠ લાખ બબલ્સમાંથી રચાયેલી પ્રમુખસ્વામી મહારાજની કલાત્મક મૂર્તિ અનોખું આકર્ષણ જન્માવે છે. સહજાનંદ જ્યોતિ મંડપમમાં ભગવાન સ્વામિનારાયણની રોમાંચક જીવનયાત્રા સાથે જ્યતિ ઉદ્યાનના ઝળહળાટને પણ સૌ માણી શકશે.
  • મહોત્સવ સ્થળે ઠેર ઠેર સંડાસ-બાથરૂમના કુલ 125 કરતાં વધુ પાકાં બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેના નિર્માણથી માંડીને સ્વચ્છતા સુધીની સેવાઓમાં વિવિધ ડિગ્રીધારી 2200થી વધુ સ્વયંસેવકો જોડાયા છે.
  • મહોત્સવનું સંચાલન કરનારા કુલ 45 કાર્યવિભાગોનું સંયોજન કરવા માટે ખાસ આઈ.ટી. વિભાગ દ્વારા નેટવર્કિંગ કરવામાં આવ્યું છે. 
  • મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે બી.એ.પી.એસ. બાળનગરી. આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે. 
  • મહોત્સવ સ્થળે ઉમટનારા લાખો દર્શનાર્થીઓની પાર્કિંગની વ્યવસ્થા માટે અઢી હજાર કરતા વધારે સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવવા ઊભા રહેશે. 
  • વિશાળ મહોત્સવ સ્થળની સ્વચ્છતા માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. અહીં કચરામાંથી ખાતર કે અન્ય વસ્તુઓ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં ફેંકી દેવાયેલી પાણીની બોટલોમાંથી કચરા ટોપલીઓ જેવી રચનાઓ બનાવીને પર્યાવરણની સંભાળનો પણ ખ્યાલ કરવામાં આવ્યો છે.   
  • મહોત્સવ સ્થળના નિર્માણમાં અત્યાર સુધીમાં કુલ 60,000થી વધુ સ્વયંસેવકો આવી ચૂક્યા છે. મહોત્સવ સ્થળની આ તમામ વ્યવસ્થાઓને જાળવવા માટે 80,000થી વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે તા. 12 ડિસેમ્બરથી મહોત્સવના અંત સુધી કાર્યરત રહેશે.
  • મહોત્સવના વિવિધ કાર્યક્રમોથી 30 દિવસ સુધી મહોત્સવના વિવિધ સભામંડપો ગુંજતા રહેશે, જેમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો, વિદ્વત્તાસભર સેમિનારો અને પરિષદો, પ્રોફેશનલ્સ સંમેલનો સહિત વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. 
  • તા. 14 ડિસેમ્બરે સાંજે 5.00 થી 7.30 દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થશે. 
  • ‘નારી ઉત્કર્ષ મંડપમ’માં રોજ બપોરે 2.30 થી 4.30 દરમ્યાન મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપશે. 
  • ‘નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે. જેમ કે – 
  • તા. 15 ડિસેમ્બરે ગૃહમંત્રીશ્રી અમીતભાઈ શાહથી લઈને દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30 દિવસીય કાર્યક્રમોના ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ’નો આરંભ થશે.
  • તા. 18-19 ડિસેમ્બરે મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સની સાથે વિશિષ્ટ મહાનુભાવો લાભ આપશે. 
  • તા. 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે. 
  • તા. 21 અને 22ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ અંગે કાર્યક્રમો થશે, જેમાં ભારતના વિવિધ પ્રાંતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. તા. 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંતસંમેલન યોજાશે, જેમાં શ્રીમદ્ શંકરાચાર્યજી સ્વામીશ્રી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ મઠ-સંપ્રદાય-અખાડાઓના પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણના પ્રતિનિધિરૂપ સેંકડો સંતો ઉપસ્થિત રહેશે અને સંત મહિમાનું ગાન કરશે. પૂજ્ય સ્વામીશ્રી અવધેશાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામીશ્રી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય અવિચલદાસજી મહારાજ, પૂજ્ય શ્રી પરમાત્માનંદજી મહારાજ, પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી, જૈનાચાર્ય પૂજ્ય શ્રી અભયદેવસૂરિશ્વરજી મહારાજ વગેરે સહિત સંતો લાભ આપશે. 
  • તા. 26 ડિસેમ્બરે સ્વામિનારાયણીય સંતસાહિત્યની છણાવટ કરતું વિદ્વત્ સંમેલન થશે. 
  • તા. 31 ડિસેમ્બરે ભારતની સંસ્કૃત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ તત્ત્વજ્ઞાન સમારોહ યોજાશે, જેમાં પ્રકાંડ વિદ્વાનો દાર્શનિક સંવાદો કરશે. 
  • તા. 3-4 જાન્યુઆરીએ બાળ-યુવા સંમેલનો યોજાશે, જેમાં દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો થશે. 
  • તા. 5 અને 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો યોજાશે. 
  • તા. 6 થી 11 જાન્યુઆરી દરમ્યાન નોર્થ અમેરિકા દિન, યુ.કે.-યુરોપ દિન, આરબદેશો દિન, આફ્રિકા ખંડ દિન, ઓસ્ટ્રેલેશિયા દિન વગેરે કાર્યક્રમો દ્વારા જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તુતિઓ થશે. 
  • તા. 15 જાન્યુઆરીએ મહોત્સવનો શાનદાર પૂર્ણાહૂતિ સમારોહ લાખોની જનમેદની વચ્ચે યોજાશે.

ગીત-સંગીત-નૃત્ય અને વિખ્યાત સંતો-મહંતો-મહાનુભાવોના વ્યાખ્યાનો સાથે મહોત્સવ સ્થળની પ્રત્યેક સાંજ વિવિધ પ્રેરણાઓથી છલકાતી રહેશે. આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી, શ્રી અમીતભાઈ શાહ, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, વિદેશમંત્રી શ્રી જયશંકર તેમજ વિદેશના મહાનુભાવો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.  

  • મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.  

 

Related posts

રણોદરા ગામે ઢોલ વગાડતા સમયે પગ ઉપર પગ પડતા મારામારી થતા 3 વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

saveragujarat

ગુજરાતના નેતાઓ માટે ખુશખબર! દેશદ્રોહનો કાયદો હવે થશે ખતમ

saveragujarat

કેબિનેટ બેઠકના અંતે રાજ્યમાં નવા મંત્રીઓને મળ્યાં PA અને PS, તથા આગામી 100 દિવસનો રોડમેપ કરાયો તૈયાર…

saveragujarat

Leave a Comment