અંબાજી,: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રાજ્યની સુખાકારી માટે જગત જનની આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રીએ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યુ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ અંબાજી ખાતે અંદાજિત ૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા. આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડીંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે. આ નવીન બિલ્ડિંગમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે.
નવીન બિલ્ડીંગમાં પાર્કિંગ, મલ્ટી પર્પજ હોલ, ૧૦ વર્ગખંડો, છાત્રાલય માટે ૪૯ જેટલી રૂમ, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર હોલ, યજ્ઞ શાળા સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરાઈ છે. અહી નોંધનીય છે કે, શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ ૧૯૬૨થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ, પુરાણ,ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના ૫,૧૦૭ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રીની ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આજથી ત્રણ દિવસીય ચાલનાર ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરીને પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એકતરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યારે બીજી તરફ જગત જનની માઁ આંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે. જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ૫૧ શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરૂ સ્થાન ધરાવે છે. દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધી જ શક્તિપીઠના દર્શન-પૂજન એક જ સ્થળે માઁ અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનનું વિઝન સાકાર થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાનની સંકલ્પના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ૫૧ શકિતપીઠ દર્શનનો લાભ ના લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ ૫૧ શક્તિપીઠના દર્શન કરીને પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાનએ અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાવ્યો છે. અંબાજી વિસ્તારના બહુમૂલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે. યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોરનો પણ વિકાસ કરાશે. સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણનું અંબાજીમાં જતન થઈ રહ્યું છે. ૧૯૬૨થી ચાલતી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.