[ad_1]
ગણેશ મહોત્સવના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કર્યા બાદ અગલે બરસ તું જલદી આના ના નાદ સાથે આજે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં ગણપતિની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવશે. નદીઓ અને તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર હોય કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ રહેશે.
બીજી તરફ બંને જિલ્લામાં શોભાયાત્રાઓ નીકળનાર હોય પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. મોડાસા ખાતે ઓધારી તળાવમાં કુત્રિમ તળાવ ઉભું કરી 50થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. જયારે બંને જિલ્લામાં આજે 700થી વધુ મૂર્તિઓનું ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે. કેટલીક જગ્યાએ તરવૈયાઓ પણ તૈનાત રાખવામાં આવશે
ગણેશ ચતુર્થીના દિવસથી સ્થાપન કરાયેલ ભગવાન ગણેશજીની મૂર્તિઓનું મંગળવારે અનંત ચૌદશે વિસર્જન કરવામાં આવશે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આજે ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢી મૂર્તિઓને નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવશે. મોડાસા શહેરમાં 24થી વધુ જગ્યાએ સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે શહેરના માલપુર રોડ પર આવેલ ઓધારી તળાવમાં પ્લાસ્ટિકથી એક કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યુ છે. આ જગ્યાએ મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવશે. મૂર્તિઓના વિસર્જન બાદ પાણી ગંદુ ન થાય તે માટે દર વર્ષની જેમ પાલિકાએ કુત્રિમ તળાવ બનાવ્યુ છે. ગણેશ વિસર્જનને પગલે 15 ફાયર જવાનો ઉપરાંત ક્રેઈન,લાઈફ જેકેટ સહિતના સાધનો ઉપલબ્ધ રાખવામાં આવશે. બાયડ,ધનસુરા,ભિલોડા,માલપુર અને મેઘરજ તાલુકામાં 10 દિવસથી સ્થાપન કરેલ ગણેશજીની મૂર્તિઓની પૂજા-અર્ચના કરી વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવશે. સાબરકાંઠામાં હિંમતનગર ખાતે 10 દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કર્યા બાદ આજે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળશે અને મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. શહેરમાંથી ર0થી વધુ પંડાલની મૂર્તિઓનું હાથમતી,સપ્તેશ્વર અને સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત ઈડર,ખેડબ્રહ્મા,વડાલી,પ્રાંતિજ,તલોદ,વિજયનગર અને પોશીના તાલુકામાં પણ ગણેશ વિસર્જન કરવામાં આવશે. વિસર્જન યાત્રાઓને પગલે જિલ્લામાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. આ વખતે ગણેશ વિસર્જન દરમ્યાન ડૂબી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવો ન બને તે માટે તંત્ર એલર્ટ રહેશે.
ધનસુરા નગરમાં ગણપતિ વિસર્જન કાર્યક્રમ અમૃત સરોવર ખાતે કરાશે
ધનસુરા : ધનસુરા નગરમાં લીમડાચોક,ભુલાવત ફળી,જોગણી માતાજીના મંદિર પાછળ અને ધનસુરા કોર્ટની પાછળ ટેકરા ઉપર સ્થાપિત કરેલ મૂર્તિઓનું અમૃત સરોવર ખાતે વિર્સજન કરાશે. શોભાયાત્રાઓ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે તેમજ ગણપતિ વિર્સજન દરમિયાન અમૃત સરોવર ખાતે ચાર તરવૈયા તૈનાત રહેશે. અમૃત સરોવર ખાતે પણ ચુસ્ત પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મૂર્તિઓના વિર્સજન માટે મોટી ક્રેઈન,રસ્સા તેમજ લાઈફ જેકેટનો પણ તૈયાર રખાશે
ભિલોડામાં 25 થી વધુ નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન કરાશે
ભિલોડા : ભિલોડામાં ગણેશ વિસર્જન દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રપથી વધુ નાની-મોટી મૂર્તિઓનું હાથમતી અને બુઢેલી નદીમાં વિસર્જન કરવામાં આવશે. ભિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે,વિસર્જન યાત્રા દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વધુમાં કેટલીક જગ્યાએ તરવૈયાઓ પણ તૈનાત રાખવામાં આવશે.
મેઘરજ વાત્રક નદીમાં મૂર્તિઓનું વિસર્જન
મેઘરજ : મેઘરજ જુના બજારમાં આવેલ ગણપતિ મંદિર ખાતે 10 દિવસથી સ્થાપિત કરાયેલ ગણેશજીની મૂર્તિનું આજે શોભાયાત્રા સાથે વાત્રક નદીમાં વિસર્જન કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળશે અને સાંજે 6 વાગ્યાના અરસામાં મૂર્તિ વિસર્જન કરાશે. ચાલુ વર્ષે વાત્રક નદીમાં પાણી વધુ હોય બાળકો નદી તરફ ન જાય તેની પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવશે.
મોડાસામાં બીજા જ દિવસે કૃત્રિમ તળાવની સાફસફાઈ કરી દેવાશે
ઓધારી તળાવમાં મૂર્તિઓના વિસર્જનથી તળાવનુ પાણી ગંદુ ન થાય તે માટે કુત્રિક કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં મંગળવારે મૂર્તિઓનુ વિસર્જન કર્યા બાદ બુધવારે જ સાફ સફાઈ કરી દેવામાં આવશે. તળાવનું પાણી ગંદુ ન થાય તે માટે દર વર્ષે પ્લાસ્ટિક પાથરી કુત્રિમ કુંડ બનાવવામાં આવે છે. શહેરમાંથી અનેક મૂર્તિઓનું માઝુમ નદીમાં પણ વિસર્જન કરવામાં આવે છે.
[ad_2]
Source link