ભિલોડા-શામળાજી માર્ગ ઉપર શનિવારે સાંજના સમયે પીકઅપ ડાલા અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ એક વ્યકિતનું ગંભીર ઈજાઓને કારણે મોત થયુ હતું.
જ્યારે પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ભાગી ગયેલા પીકઅપ ડાલાના અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ભિલોડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં બેફામ દોડતા વાહનોથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. શનિવારે સાંજના સમયે પણ શામળાજી તરફથી ભિલોડા જઈ રહેલ પીકઅપ ડાલાના નં.જી.જે.06.વી.પીકઅપ ડાલાના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી લાવી સામેથી આવી રહેલ પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના પગલે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને અંદર બુઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે બુમાબુમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108 મારફતે તાબડતોબ કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. આ ઈજાગ્રસ્તો પેકી નિરૂભાઈ થાવરાજી નિનામાનું જીવલેણ ઈજાઓને પગલે મોત થયુ હતું. અકસ્માત બાદ પીકઅપ ડાલાનો ચાલક ભાગી ગયો હતો,જેના પગલે પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભિલોડા પંથકમાં બેફામ દોડતા વાહનોથી વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. કેટલાક વાહન ચાલકો લાયસન્સ,વાહનનો વીમો અને પીયુસી વગર આડેધડ વાહનો હંકારતા હોય અનેક નિર્દોષ વ્યકિતઓ ભોગ બની રહ્યા છે.
ઈજાગ્રસ્તોના નામ
પ્રતાપભાઈ રૂપસિંહ ડામોર રહે.ચોરીમાલા
મનીષાબેન રજનીકાન્તભાઈ અસારી રહે.જેશીંગપુર
પ્રોફાઈનબેન બાબુભાઈ સોલંકી રહે.જેશીંગપુર
શારદાબેન રમેશભાઈ ગામેતી રહે.જેતપુર
દમયંતિબેન મથુરભાઈ તબીયાડ રહે.ગઢીયા