[ad_1]
છેલ્લા 15 દિવસથી વરસાદી વિરામ લઈ લીધો છે અને ચોમાસું હવે પુરું થઈ ગયુ હોય તેવું લોકો માની રહ્યા છે. પરંતુ આ વર્ષના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. જેના કારણે ફરી એક વખત વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
સોમવારથી અરવલ્લીમાં વરસાદની શરૂઆત થશે અને ત્યાર બાદ બાકીના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત થાય ત્યાં સુધી વરસાદી માહોલ રહ્યા બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિધિવત વિદાય લઈ લેશે.
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ છત્તીસગઢ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈ ગુજરાત તરફ આવશે અને 2024ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવશે. હવામાન વિભાગ દ્વારા પણ રવિવારે જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તા.23મી સપ્ટેમ્બરથી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌપ્રથમ અરવલ્લી જિલ્લામાં વરસાદ પડશે. ત્યારબાદ 24મીએ સાબરકાંઠા અને તા. રપમી તેમજ 26મીએ સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી આગાહી કરવામાં આવી છે. સોમવારથી જ હવામાનમાં પલટો આવવાની શરૂઆત થવા સાથે કડાકા-ભડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને જો હાઈ પ્રેશર મજબુત રહે તો કેટલાક વિસ્તારોમાં રથી 5 ઈંચ સુધીનો વરસાદ ખાબકવાની પણ શક્યતાઓ રહેલી છે. એક તરફ હવે ચોમાસના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે જ બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો વધુ એક છેલ્લો રાઉન્ડ આવી શકે તેમ હોય જે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે. તે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે. મધ્યમ વરસાદ થાય તો મગફળી અને કપાસને ફાયદો થાય
ખેડૂતોના જણાવ્યા અનુસાર,છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે અને હાલ ગરમી પણ પડી રહી છે. જેના કારણે મગફળી અને કપાસે જેવા પાકોને પિયતની જરૂરિયાત ઉભી થઈ છે. હાલના સમયે મધ્યમ વરસાદ થાય તો મગફળી અને કપાસ જેવા પાકોને ફાયદો થાય તેમ છે. પરંતુ ભારે વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે. લાંબો સમય સુધી વરસાદ ચાલે અને ખેતરોમાં પાણી ભરાઈ જાય તો વિવિધ પાકોમાં ફૂગનો ઉપદ્રવ પણ વધી શકે છે.
આગામી તા.રજીથી તા. 3જી ઓક્ટોબર બાદ ચોમાસાની વિદાય શરૂ થશે
રાજસ્થાનના ભાગોમાંથી આગામી દિવસોમાં ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. ત્યાર બાદ વરસાદના છેલ્લા રાઉન્ડ બાદ ગુજરાતમાંથી પણ તા. રજીથી તા. 3જી ઓક્ટોબર આસપાસ ચોમાસાની વિધિવત વિદાય શરૂ થશે. ચોમાસાની વિદાય થયા બાદ પણ નવરાત્રિમાં છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટાં પડશે. પરંતુ તે બંંગાળની ખાડી કે અરબ સાગરની કોઈ સિસ્ટમને કારણે નહીં પરંતુ હવામાં ભેજ અને ગરમીને કારણે વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાતોનું માનવુ છે.
ઉત્તર ગુજરાતમાં 107 ટકા વરસાદ છતાંય 19 તાલુકામાં હજુ વરસાદની ઘટ
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 107.76 ટકા વરસાદ પડી પણ ગયો છે. 47 પૈકી 28 તાલુકામાં 100 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. પરંતુ હજુય 19 તાલુકામાં હજુ વરસાદની વત્તા-ઓછી ઘટ જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ મજબૂત રહેશે અને સારો વરસાદ થશે તો જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે. ત્યાં ફાયદો થઈ શકે છે.
ભાદરવાની ગરમીથી લોકો તોબા પોકારી ઊઠયા, મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર
એક તરફ છેલ્લા 15દિવસ દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે અને ભાદરવો મહિનો પણ આકરો તપ્યો છે. બપોરના સમયે તો કાળઝાળ ગરમીનો અનુભવ થતાં લોકો તોબા પોકારી ઉઠયા છે. રાત્રે પણ અસહ્ય બાફ અને ઉકળાટથી લોકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા ચારેક દિવસથી મહત્તમ તાપમાન પણ વધીને 35 ડિગ્રીને પાર થઈ ગયુ છે. ત્યારે જો વરસાદ થાય તો વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે અને બાફ તેમજ ઉકળાટથી લોકોને આંશિક રાહત મળશે.
[ad_2]
Source link