આસો સુદ એકમ સાથે 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે નગરદેવા ભદ્રકાળીના ચોકમાં આજે ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે , પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. પ્રથમ નોરતે શહેરમાં શેરીએ શેરીએ ગરબાનું આયોજન કર્યું છે. 400 લોકોની મર્યાદામાં શેરી ગરબા યોજાઈ રહ્યા છે. ભદ્રકાળી મંદિર પરિસરમાં ઐશ્વર્યા મજમુદારની સંગતમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડીપી કેમ્પસ નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ ગરબા રમવા આવ્યા હતા. પરંપરાગત ડ્રેસ પહેરીને તેઓ ગરબા રમ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા હતા. ગયા વર્ષે ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા નહોતા. જોકે, આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. તેથી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમવા તૈયારી કરી લીધી છે.
ખેલૈયાઓએ શેરીમાં દરરોજ ચાર ચાંદ લગાવી દેવા માટે અવનવા આયોજનો કર્યા છે. જેમાં રોજ રોજના ડ્રેસ પ્રમાણે ટેમ્પરરી ટેટૂ પણ ચિતરાવીને ગરબે રમવાનું આયોજન કર્યું છે. કોરોનાની અસર ઓછી થતાં જ સરકારે 400 લોકો સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે રસીકરણ વિના શોપિંગ મોલ, થિયેટરો, ક્લબ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં પ્રવેશ મળશે નહી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. જો કે, આ તમામ કોમર્શિયલ એકમો અને સોસાયટીના જવાબદાર વ્યક્તિઓએ વેક્સિનેશન સર્ટિફિકેટ તપાસવું પડશે. વધુમાં, કોર્પોરેટરોએ ખેલૈયાઓનું વેક્સિનેશન તપાસ કરવા માટે રાત્રે જાગવું પડશે.