હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું 7 ઓક્ટોબરથી વિદાય લેવાનું હતું. પરંતુ આજે હવામાન અચાનક બદલાઈ ગયું અને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. પરિણામે અમદાવાદમાં અનેક ગરબા મંડપોમાં પાણી ભરાતા ખૈલૈયાઓ નિરાશ થયા છે.
જોકે, ખેલૈયાઓએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં ચોમાસું હવે વિદાયની આરે છે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ નથી. પરંતુ હવામાં ભેજને કારણે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી પણ કરી છે.
અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.