ગાંધીનગર, તા. 4
ગુજરાતના સૌરાષ્ટ્રમાં જામનગરમાં કોરોનાના નવા વેરિયન્ટ એમીક્રોનની એન્ટ્રી થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાબડતોબ બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, મુખ્ય સચિવ પંકજકુમાર ઉપરાંત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા બેઠક કરીને વિદેશથી ગુજરાતમાં આવેલા મુસાફરોનું ડ્રેસિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ માટે મંથન શરૂ કર્યું છે.
તો બીજી તરફ જામનગર કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવે નવા વેરિયન્ટથી સંક્રમિત દર્દી અને તેના સંપર્ક અંગે વિશેષ સમીક્ષા કરી છે. જોકે આ બેઠક બાદ આજે સાંજે નવા વેરિયન્ટ અંગે સરકાર કડક પગલાં લે તો નવાઈ નહીં. ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી સાથે પણ સ્ક્રીનિગ થી માડી તમામ ગાઇડલાઈનનું ચુસ્ત કડક પાલન કરાવવાની સૂચના અપાઈ હોવાના અહેવાલ છે.