ઉના નવાબંદરમાં ભારે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડામાં 10 બોટો ડુબી જતા 8 ખલાસીઓ લાપત્તા થતા બચાવ કામગીરી દરમિયાન બે ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. સતત બીજા દિવસે કોસ્ટગાર્ડ, એનડીઆરએફ ટીમ, સ્થાનિક બોટો, સી-પ્લેનની મદદથી લાપતા માછીમારોની શોધખોળ ચાલી રહી છે. તાઉતે વાવાઝોડા બાદ ફરી નવાબંદર વિસ્તારમાં વાવાઝોડુ ફુંકાતા જાનહાની સાથે બોટોને મોટુ નુકસાન થતાં માછીમારો આફતથી પાયમાલ થયા છે. બુધવાર રાત્રીના ભારે પવન સાથે વાવાઝોડુ ફુંકાતા ઉનાના નવાબંદર દરિયાકાંઠે લાંગરેલી 10 બોટો ડુબી જવા સાથે 8 ખલાસીઓ લાપતા થતા લાપતા થયેલા ખલાસીઓ પૈકી સોહીલ રહેમાન શેખ (ઉ.22) અને રામુ દેવાભાઈ બાંભણીયા (ઉ.22) મૃતદેહ મળી આવ્યા છે.
હજુ અન્ય ખલાસીઓની ભાળ મેળવવા કોસ્ટગાર્ડ, સી-પ્લેન, એનડીઆરએફની ટીમો અને સ્થાનિક બોટોની મદદથી શોધખોળ ચાલી રહી છે. ઉના તાલુકાના નવાબંદર ખાતેથી ભારે પવન અને તોફાની સમુદ્ર મોજાઓના કારણે લાપતા બનેલા 8 માછીમારોના બચાવની કામગીરી કોસ્ટગાર્ડ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ નવા બંદર ખાતે પહોંચ્યા હતા. માછીમારોની શોધખોળની કામગીરીમાં જોડાયેલા કોસ્ટગાર્ડના અધિકારીઓ પાસેથી બચાવ કાર્યોની વિગતો મેળવી રાહત બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી હતી.
નવાબંદર દરીયા કિનારે અતિ ભારે ગંભીર તોફાની વાવાઝોડાના ભોગ બનેલા માછીમારો અને બોટ માલીકોને ભારે નુકસાન પામેલ હોય તેને તાત્કાલીક ઉભા કરવા બંદરની મુલાકાતે આવેલા ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તેમજ જીલ્લા પંચાયતના સભ્ય હરીભાઇ સોલંકીએ જણાવેલ કે આ બાબતનું સંપૂર્ણ આંખે દેખ્યો અહેવાલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુ કરીશુ અને તે પણ સતત અધિકારીના સંપર્કમાં હોય અને હાલ બચાવ કામગીરી ચાલુ છે. તાત્કાલીક ધોરણે માછીમારોને સહાય મળે તેવી રજુઆત કરીશુ..આ બાબતે માછીમાર અગ્રણી વિજયભાઇ સોલંકી તેમજ સલીમભાઇ સહીતના આગેવાનોએ માછીમારને થયેલ નુકસાનનું પુરૂ વળતર તાત્કાલીક ધોરણે ચુકવવા માંગણી કરેલ છે.
જાફરાબાદમાં બોટ ડુબી
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. ઠંડાગાર પવન સાથે છૂટા છવાયા વરસાદના કારણે અમરેલી જિલ્લો હિલ સ્ટેશન બની ગયો છે. ત્યારે અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના જાફરાબાદથી 12 નોટકીલ માઈલ એક બોટ ડૂબી ગયાની ઘટના બનવા પામેલ છે. જો કે આ બોટમાં રહેલા 8 જેટલા ખલાસીઓને અન્ય બોટની મદદથી બચાવી લેવાયા છે. ત્યારે દરિયામાં કરંટ હોવાના કારણે આ ઘટના બની હોવાનું મનાઈ રહયું છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગત મુજબ જાફરાબાદ ગામે રહેતા 8 જેટલા ખલાસીઓ ચામુંડા નામની બોટ લઈ દરિયો ખેડવા માટે ગયા હતા ત્યારે દરિયામાં વરસાદ અને સતત પવનની ગતિ હોવાના કારણે જાફરાબાદથી 12 નોટીકલ માઈલ આ બોટ ડૂબી ગયાનું જાણવા મળેલ છે. આ બોટ ડૂબી જવાની ઘટના બનતા આ બોટમાં રહેલા 8 જેટલા ખલાસીઓને અન્ય એક બોટ દ્વારા બચાવી લેવાયા હોવાનું જાણવા મળેલ છે.