PMJAY કાર્ડમાં મધ્યપ્રદેશના પ્રીતિબેન માલવીના નવજાત દિકરીની અત્યંત જટીલ “કોએનલ એટ્રેસિયા સર્જરી” વિનામૂલ્યે થઇ
…………….
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા બે નવજાત બાળકો પર અત્યંત જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી
…………………………
રાજ્યબહાર થી આવતા દર્દી માટે પણ PMJAY-આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે – સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી
………………………….
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા નવજાત બાળકોમાં અત્યંત જટીલ ગણાતી “કોએનલ એટ્રેસિયા સર્જરી” અને લોહીની ગાંઠ થઇ જવાની સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
નવજાત બાળકોમાં જૂજ જોવા મળતી કોએનલ એટ્રેસિયા તકલીફનું સત્વરે નિદાન કરવામાં ન આવે તો બાળક ને મૃત્યુ થવાનું પણ જોખમ રહે છે. આ એક જન્મજાત ઉભી થતી તકલીફ છે જેમાં અનુનાસિક માર્ગમાં અવરોધ ઉભો થતા બાળકના શ્વસનતંત્રમાં તકલીફ ઉભી થાય છે. જેથી બાળક સંપૂર્ણપણે શ્વાસ લઇ શકતો નથી. સામાન્ય રીતે ગર્ભના વિકાસ દરમિયાન કયારેક અસામાન્ય હાડકા અથવા નરમ પેશી દ્વારા ઉદભવતી કોએનલ એટ્રેસિયા જીવલેણ પણ સાબિત થતી હોય છે.
અમદાવાદ સિવિલમાં બે નવજાત બાળકો ગંભીર બિમારી સાથે સારવાર અર્થે દાખલ થયા હતા જેમની સિવિલ બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરીને બંને બાળકોને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવ્યા છે.
પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના નિમુચ જિલ્લામાં રહેતા 24 વર્ષીય પ્રીતિબેન માલવીના ઘરે ત્રીજી દીકરીનો જન્મ થયો . પરંતુ જન્મની સાથે જ બાળકીને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ ઉભી થતા તેને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી. આ દરમિયાન બાળકીને અન્ય કોઇ ગંભીર બિમારી હોવાનું પણ નિદાન થયું. જેથી તેને જયપુરની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી.ત્યાં બાળકીને કોએનલ એટ્રેસિયા બિમારી હોવાનું નિદાન થયું જેનો ખર્ચ જયપુરની હોસ્પિટલમાં 3 થી 4 લાખ કહેવામાં આવ્યો. આટલી માતબર રકમના ખર્ચે પોતાની દીકરીનો જીવ બચાવવો પ્રીતિબેન માટે અશક્ય હતું. તેઓ હિંમત હારી ચૂક્યા હતા. તેવામાં જયપુરમાંથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી તદન વિનામૂલ્યે કરવામાં આવતી હોવાની જાણ થઇ. પ્રીતિબહેન ક્ષણભર પણ વિલંબ કર્યા વિના અમદાવાદ સિવિલ દોડી આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકીને તપાસતા જાણવા મળ્યું કે, બાળકીને અનુનાસિક માર્ગમાં અવરોધ ઉભો થઇ રહ્યો હતો. જે કારણોસર તેણી શ્વાસ લઇ શકવા સક્ષમ ન હતી જેથી તેને ઓક્સિજન સપોર્ટ પર પણ રાખવી પડે તેમ હતુ.બાળકીનું સી.ટી. સ્કેન કરતા તેની કોએનલ એટ્રેસિયા બિમારીની ગંભીરતાનું નિદાન થયું ત્યારબાદ તબીબો દ્વારા સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું.આ સમગ્ર સર્જરી ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમના સિનીયર તબીબ ડૉ. જયશ્રી રામજીના વડપણ હેઠળ હાથ ધરવામાં આવી.
બીજા કિસ્સામાં ગાંધીનગરના રેખાબેન ઠાકોરના ત્યાં પણ દિકરીનો જન્મ થયો. જન્મ જાત આ દિકરીને 4X3 સેન્ટિમીટર જેટલો નાશપેટીમાં સોજો જોવા મળ્યો.જેથી તેના માતા-પિતા પણ સ્તબ્ધ થઇ ગયા હતા. મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવાર માટે અન્ય હોસ્પિટલમા સારવાર કરાવવું મુશકેલ બની રહ્યું હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલ આવી પહોચ્યા. અહીં તબીબો દ્વારા બાળકીને તપાસતા બાળકીને અંદરના ભાગમાં સતત રક્તસ્ત્રાવ થઇ રહ્યો હતો.જેથી આકસ્મિક સંજોગોમાં બાળકીની સર્જરી કરવી પડે તેમ હતું. બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ દ્વારા બાળકીની સર્જરી હાથ ધરવામાં આવી.
બાળકીની બાયોપ્સી કરાવતા તેને હેમાન્જીયોમાં હોવાનું બહાર આવ્યું.જેમાં બાળકીના નાશપેટી પાસે લોહીની ગાંઠ જોવા મળી રહી હતી. જે 2.6% નવજાત બાળકોમાં જોવા મળતી સર્વસામાન્ય બિમારી છે. તબીબો દ્વારા સફળતાપૂર્વક આ દૂર્લભ સર્જરી કરીને બાળકીને પીડામાંથી મુક્તિ આપવામાં આવી.
મધ્યપ્રદેશના પ્રીતિબેન માલવી બાળકીની સર્જરી સફળતાપૂર્વક પાર પડતા આનંદભેર જણાવે છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવેલા પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મારી બાળકીની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ છે. સિવિલ હોસ્પિટલના સર્જનો દ્વારા શ્રેષ્ઠત્તમ સારવાર ઉપલબ્ધ કરાવીને મારી દિકરીને નવજીવન બક્ષ્યું છે. જે માટે હું ગુજરાત સરકાર,સિવિલ હોસ્પિટલ અને પ્રધાનમંત્રી શ્રી નો હ્યદયપૂર્વક આભાર માનું છું.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી વિગતો આપતા જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં રાજ્ય અને દેશભરમાંથી લોકો આવી અત્યંત દુર્લભ કઇ શકાય તેવી બિમારીના સારવાર અર્થે આવે છે. સિવિલ હોસ્પિટલ દ્વારા પણ રાજ્ય બહાર થી આવતા દર્દીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ સમગ્ર સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડે નહીં તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે છે.
તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને શ્રેષ્ઠ, સત્વરે અને સરળતાથી સારવાર મળી રહે તે માટે ગ્રીન કોરિડોરનું વ્યવસ્થાપન પણ હાથ ધરવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા અવાર-નવાર અત્યંત જટીલ, દૂર્લભ કહી શકાય તેવા પ્રકારની સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવતી હોવાથી રાજ્ય અને રાજ્ય બહારના નાગરિકોમાં સિવિલ હોસ્પિટલની સારવાર પ્રત્યે વિશ્વાસ દ્રઢ બન્યો છે. જે કારણોસર જ રાજ્ય ઉપરાંત પણ અન્ય રાજ્યોના દર્દીઓનો પણ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળે છે.