વડોદરા શહેરમાં આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે કોવિડની માર્ગદર્શિકાને અનુરૂપ 400 લોકોની મર્યાદામાં ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપી છે. પછી પાંચમા નોરતો વડોદરામાં પોલીસ ખેલૈયાના રંગમાં ભંગ પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ફતેગંજ મેઈન રોડ પર યુવક મંડળના ગરબાને પોલીસે બંધ કરાવ્યા હતા. 400 થી વધુ લોકોની ભીડના કારણે પોલીસને ગરબા બંધ કરાવવાની ફરજ પડી હતી. ગરબા આયોજક રાજુ અગ્રવાલની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
પોલીસે ગરબા બંધ કરાવતા ખેલૈયાઓમાં રોષ ની લાગણી જોવા મળી હતી. ગયા વર્ષે પણ ગરબાનું આયોજન થઈ શક્યું ન હોવાથી આ વર્ષે યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પોલીસે નિયમોને નેવે મૂકી ગરબે ઝૂમતા ખેલૈયાઓને પોલીસે પાઠ ભણાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ગરબાના આયોજનને શરતી મંજૂરી આપી છે કારણ કે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને દરેક વ્યક્તિએ ઉત્સાહ સાથે સામાજિક અંતર, માસ્ક અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.