આવતીકાલથી નવરાત્રી શરૂ થશે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ વખતે ગરબાની મંજૂરી મળતા ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા નવરાત્રી માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનનું પાલન ખેલૈયાઓ અને સંચાલકોને ચુસ્તુપણે કરવાનું રહેશે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના તહેવારમાં જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનને લઇને કહ્યું કે, આ વર્ષે શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે. પરંતુ તે માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. મહાનગરોમાં 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરીએ.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહિ થાય. વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. જેમાં ચોકમાં અને વૃક્ષની આસપાસ ગોળ ફરતે ગરબા રમી શકાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે.
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, વેક્સીન લીધી હોય લોકો જ ગરબા રમવા આવશે. નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. અનેક મહાનગરોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. બીજા ડોઝ માટે કામગીરી કરવામાં આવી રહી છે. ગરબા ખૂબ મહત્વનો તહેવાર છે. નિણર્ય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે.
નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પલેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ-હોટલ રાત્રીના દસ વાગ્યા સુધી જ ચાલુ રહી શકશે.રેસ્ટોરન્ટમાં રાત્રિના 12 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકાશે. બાગ બગીચાઓ પણ રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.