એક સપ્તાહ પહેલા થરાદ તાલુકાના લેંડાઉ ગામે એક આધેડ ને બે વ્યક્તિઓએ રૂમાલ સુંઘાડી દીધો હતો જેથી તે બે ભાન થઇ ગયા અને તેને કાનમાં પહેરેલી સવાભારની બંને મરકીઓ તથા 10 હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા. ચાર દિવસ પછી જ્યારે આધેડ સ્વસ્થ થયા ત્યારે પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. થરાદના લેંડાઉ ગામના ખગારભાઈ જેહાભાઈ એપા એક સપ્તાહ પહેલા ગામની દૂધ મંડળીમાંથી રૂ .10 હજાર રોકડા લઇને થરાદ આવીને હનુમાન ગોળાઈ જીપમાંથી ઉતર્યા હતા. આ વખતે, બે અજાણ્યા વ્યક્તિઓએ તેમને રૂમાલ સુંઘાડતાં તેઓ સાનભાન ગુમાવીને યુવકોએ ચાલો કાકા તેમ કહેતાં તેમની પાછળ પાછળ ફરી રહ્યા હતા.
તેમણે થરાદ પોલીસ સમક્ષ વર્ણવેલ આક્ષેપ મુજબ, યુવકો સૌ પ્રથમ ટાંડા તળાવની પાળે લઈ ગયા હતા. જ્યાંથી જૂના આરટીઓને લોરવાડા ગામના જીપસ્ટેન્ડથી ચેકપોસ્ટ પાસે પાણીના પંપ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અજાણ્યા યુવકોએ કાનમાં પહેરેલા આશરે 63 હજાર રૂપિયાની કિંમતની સોનાની સવાભારની બંને મરકીઓ કાઢી લીધી હતી. તેણે તેમની પાસેથી 10,000 રૂપિયા પણ લઈ લીધા હતા. વસ્તુઓ અને રોકડ લીધા બાદ બંને યુવકો જતા રહ્યા હતા અને તેઓ અર્ધબેભાન અવસ્થામાં બે કલાક સુધી બાવળ નીચે પડ્યા રહ્યા હતા.
ત્યારબાદ ફરીથી થોડું ભાન આવતાં બજાર આવ્યા હતા. તેને મળેલો પુત્ર તેમને ઘરે લઈ ગયો હતો. ઘરે ગયા પછી પણ, તેણે ચાર -પાંચ દિવસ સુધી માનસિક સ્થિતિ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બધું યાદ આવતા થરાદ પોલીસ મથકમાં આ બનાવ અંગે જાણ કરી. પોલીસે નિવેદન લઇ સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરી હતી.