સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૧૮
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે આગામી ૨૫મેથી ૫મી જૂન વચ્ચે પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ ૧૦નું પરિણામ ગણતરીના દિવસોમાં જ જાહેર થઈ જશે. હાલમાં શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતા પૂર્વક રાહ જાેઈને બેઠા છે. બીજી તરફ માર્ચ-૨૦૨૩માં લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડમાં કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કરેલી ગેરરીતિમાં બોર્ડના ફ્લાઈંગ સ્ક્વોડમાં છટકી ગયેલા વિદ્યાર્થી હવે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ઝડપાઇ ગયા છે. જેના આધારે ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયાં છે. ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર ૬૦ વિદ્યાર્થીને જ પકડી શકી છે.વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.ધો.૧૦ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે ૭૫૯ કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા ૨૯ કેસ કરાયા છે. ધો.૧૨ સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે ૨૬ અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે ૩૪૫, અન્ય દ્વારા ૨૨ કેસ કરાયા છે. તેમાં સ્ક્વોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધોરણ-૧૦ અને ૧૨ના માત્ર ૬૦ વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં, ગેરરીતિ કરતા ૧૧૩૦ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થી ઝડપાયા છે. જાેકે ગેરરીતિમાં પકડાયેલા કુલ ૧૧૯૦ વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.
previous post