સવેરા ગુજરાત,રાયપુર, તા.૨૫
છત્તીસગઢના નયા રાયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસના ૮૫મા પૂર્ણ સત્રમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સંમેલનના બીજા દિવસે કોંગ્રેસ નેતા સોનિયાએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને આરએસએસે તમામ સ્વાયત્ત એજન્સીઓને કબજે કરી લીધી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદી દેશ માટે નહીં પરંતુ તેમના મિત્રો માટે સત્તા ચલાવી રહ્યા છે. આ સાથે સોનિયાએ રાહુલ ગાંધીના પણ વખાણ કર્યા હતા. સોનિયા ગાંધીએ પણ પોતાના ભાષણમાં રાહુલ ગાંધીના જાેરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલના નેતૃત્વમાં ભારત જાેડો યાત્રાએ શાનદાર કામ કર્યું. સોનિયાએ કહ્યું કે આ યાત્રામાં રાહુલ જે રીતે લોકો સુધી પહોંચ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી તે પ્રશંસનીય છે. પોતાની નિવૃત્તિ તરફ ઈશારો કરતા સોનિયાએ કહ્યું કે મારી ઈનિંગ્સનો અંત ભારત જાેડો યાત્રાથી વધુ સારી રીતે થઈ શક્યો ન હોત.સંમેલનને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આપણે બીજેપી શાસન સાથે મક્કમતાથી કામ લેવું પડશે અને લોકો સુધી અમારી પહોંચ વધારવી પડશે જેથી અમે અમારો સંદેશ સ્પષ્ટ રીતે પહોંચાડી શકીએ. સોનિયાએ વધુમાં કહ્યું કે ભાજપ નફરતની આગમાં બળતણ ઉમેરી રહી છે અને લઘુમતીઓ, મહિલાઓ, દલિતો, આદિવાસીઓને નિશાન બનાવી રહી છે. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે આ પાર્ટી અને દેશ માટે પડકારજનક સમય છે કારણ કે ભાજપે દરેક સંસ્થા પર કબજાે કરી લીધો છે.સોનિયાએ કહ્યું કે કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ એક માધ્યમ છે જેના દ્વારા લોકો સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય માટે લડે છે. અમે લોકોના અવાજને આગળ લઈ જઈએ છીએ અને તેમના સપના પૂરા કરીએ છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમારો રસ્તો સરળ નથી પરંતુ અમે ચોક્કસ જીતીશું. સોનિયાએ આ સાથે કહ્યું કે કોંગ્રેસે હંમેશા લોકશાહીને મજબૂત કરવાનું કામ કર્યું છે.