સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૪
ચીનમાં શરૂ થયેલા કોરોનાના કહેરથી ફરી એકવાર વિશ્વની મુશ્કેલી વધી ગઈ છે. ૨૦૧૯ના સમયગાળાની જેમ આ વખતે પણ મહામારીની શરૂઆત ચીનથી થયેલી જાેવા મળે છે. જાે કે હવે ભારતમાં લોકોને રસીનું રક્ષણ મળી ગયું છે, પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતો એવું માને છે કે ચીનમાં હાલનો કોરોના ફાટી નીકળવો તે આખી દુનિયાને ફરીથી એ જ જગ્યાએ લાવશે જ્યાંથી આ મહામારી સામેની લડાઈ શરૂ થઈ હતી. ચીનની ઝીરો કોવિડ નીતિમાં છૂટછાટથી, ત્યાની હોસ્પિટલો દર્દીઓથી અને શબઘરમાં મૃતદેહોથી ભરાઈ ગયેલા છે. ત્યાં હાલ ખુબ ગંભીર પરિસ્થિતિ જાેવા મળી રહી છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી મહિનાઓમાં વાયરસથી ૧૦ લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. એક તરફ નબળી રોગપ્રતિકારક શક્તિ અને બીજી તરફ નબળા રસીકરણ દરો વર્તમાન પ્રકોપને ચીનમાં સૌથી ખતરનાક લહેર બનાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ દાવો કર્યો છે કે, ચીનની સ્થિતિ દર્શાવે છે કે રોગચાળો હજી સમાપ્ત થયો નથી. હવે નિષ્ણાતો એક નવી લહેરની ચેતવણી આપી રહ્યા છે જે સંભવિત પણે યુએસ, યુકે સહિત સમગ્ર વિશ્વને અસર કરી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના વૈજ્ઞાનિક કહ્યું કે, ‘હાલમાં ભારતમાં કોરોનાનો દૈનિક પોઝિટિવ દર ઓછો છે. આમાં કોઈ ખાસ વધારો જાેવા મળી રહ્યો નથી, પરંતુ એવું થઈ શકે છે કે આ વાયરસ પરિવર્તિત થઈ જાય. જાે કે આનો અર્થ એ નથી કે આનાથી મૃત્યુદરમાં વધારો થશે, પરંતુ કેસોમાં જરૂરથી વધારો થઇ શકે છે આ કારણથી વૃદ્ધોએ સાવચેત રહેવાની જરૂર છે.