નવીદિલ્હી, તા.૩૧ ઃ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સત્યેન્દ્ર જૈનની ઈડીએ ધરપકડ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈડીએ પહેલાં કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની અટકાયત કરીને તેમની મની લોન્ડ્રીંગના કેસમાં પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
૪.૮૧ કરોડ રૂપિયાના મની લોન્ડ્રીંગ કેસમાં આ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપ છે કે વર્ષ ૨૦૧૪-૧૫માં જ્યારે સત્યેન્દ્ર જૈન મંત્રીપદે હતા ત્યારે તેના અને તેના સહયોગીઓ પાસે કલકત્તાની શેલ કંપનીઓ પાસેથી પૈસા આવ્યા હતા. આ મામલે ઈડીએ ગુનો નોંધીને અનેકવાર પૂછપરછ પણ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે આ સિલસિલામાં જ્યારે સત્યેન્દ્ર જૈનને સવાલો કરવામાં આવ્યા તો તેઓ યોગ્ય જવાબ આપી રહ્યા નહોતા અને જાણકારી છુપાવી રાખતાં હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. ઈડીની કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન તાક્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયાએકહ્યું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ આઠ વર્ષથી એક નકલી કેસ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી અનેક વખત ઈડી તેમને બોલાવી ચૂક્યો છે. વચ્ચે અનેક વર્ષ સુધી ઈડીએ તેમને બોલાવવાનું બંધ કરી દીધું હતું કેમ કે તેમની પાસેથી કશું જ મળ્યું નહોતું. હવે ફરીથી તેમને બોલાવવાનું શરૂ કર્યું છે કેમ કે સત્યેન્દ્ર જૈન હિમાચલના ચૂંટણી ઈન્ચાર્જ છે.