નવી દિલ્હી, તા.૨૫
જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળની સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને લઈને કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કમિટીએ પંજાબના કેટલાક અધિકારી અને પોલીસ અધિકારીઓને પીએમની સુરક્ષામાં ક્ષતિઓ માટે જવાબદાર ઠેરવ્યા છે.
આ દરમ્યાન સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની સમિતિએ અહેવાલ વાંચ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફિરોઝપુર એસએસપી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ પૂરતા ફોર્સ ઉપલબ્ધ હોવા છતાં સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા. તેમને ૨ કલાક પહેલા જાણ કરવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે રસ્તેથી આવવાના છે અને ત્યાંથી નીકળશે.
સીજેઆઈએ કહ્યું કે, અમે રિપોર્ટ સરકારને મોકલી રહ્યા છીએ. સરકારે આ અંગે પગલાં લેવા જાેઈએ.
૧૩ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં ૫ સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી. સુપ્રીમ કોર્ટે (એસસી) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિઓની કાર્યવાહી પર રોક લગાવીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત તમામ દસ્તાવેજાે ઉપલબ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રિપોર્ટની માહિતીને પોતાના સંજ્ઞાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટે આગળની કાર્યવાહી માટે રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.
આ સાથે જ આ રિપોર્ટમાં કમિટીએ પોલીસકર્મીઓને સારી તાલીમ આપવા માટે કેટલીક ભલામણો પણ કરી છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર લોકોની નજર રહેશે.
૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબની મુલાકાતે હતા, ત્યારે તેમની સુરક્ષામાં એક મોટી ચૂક થઇ હતી. જેમાં પીએમ મોદી પોતાનો કાર્યક્રમ કર્યા વગર દિલ્હી પાછા આવી ગયા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા.
previous post