નવી દિલ્હી, તા.૨૫
ભારતીય સેનાએ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે બનેલી ભારતીય ચોકીઓ પર હુમલાના પ્રયાસો અંગે મોટો ખુલાસો કર્યો છે. સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પોસ્ટ પર હુમલા માટે આતંકીઓને ૩૦ હજાર રૂપિયા આપ્યા હતા. સેનાની સામે આ વાતનો ખુલાસો એક ધરપકડ કરાયેલા આતંકવાદીએ કર્યો છે. ત્યાર બાદ તેને માનવતાના ધોરણે સરહદ પાર મોકલવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સેનાએ જમ્મુ અમે કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ આતંકવાદીઓ દ્વારા સરહદ પાર કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવતા એક આતંકવાદીની ધરપકડ કરી હતી જ્યારે લેન્ડમાઈન બ્લાસ્ટમાં ૨ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
સેના દ્વાર જાહેર કરવામાં આવેલી નોટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ધરપકડ ૨૧ ઓગસ્ટના રોજ સવારે કરવામાં આવી હતી જ્યારે નૌશેરા વિસ્તારના ઝાંગાર સેક્ટરમાં તૈનાના જવાનોએ નિયંત્રણ રેખા પર ૨થી ૩ આતંકવાદીઓની હલચલ જાેઈ હતી. એક આતંકવાદી ભારતીય પોસ્ટની નજીક હતો અને વાડને કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે આ આતંકીએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે જવાનોએ ગોળીબાર કર્યો હતો અને જેમાં તે ઘાયલ થયો હતો. બાદમાં આતંકવાદીને પકડી લેવામાં આવ્યો હતો. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે, અન્ય ૨ આતંકવાદીઓ ગાઢ જંગલોનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં ભાગવામાં સફળ થયા હતા. ઘાયલ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી હતી અને તેને બચાવવા માટે સર્જરી કરવામાં આવી હતી. આતંકીની ઓળખ તબારક હુસૈન તરીકે થઈ છે અને તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કોટલી જિલ્લાના સબજકોર્ટ ગામનો રહેવાસી છે.
સેનાના જણાવ્યા અનુસાર, આતંકવાદીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે,પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના કર્નલ યુનુસ ચૌધરીએ તેને ભારતીય સરહદમાં ઘૂસવા માટે મોકલ્યો હતો. તેની પાસે ૩૦ હજાર પાકિસ્તાની રૂપિયા છે જે તેને આ કર્નલ દ્વારા આપવામાં આવ્યા હતા. તબારક હુસૈન એ ટુકડીનો ભાગ હતો તેણે ભારતીય એડવાન્સ પોસ્ટની તપાસ હાથ ધરી હતી અને અંતે તેને ૨૧ ઓગસ્ટના રોજ પ્રવેશવાનું કહેવામાં આવ્યું હતું.