સવેરા ગુજરાત, અમદાવાદ તા.૧૬
ગુજરાતનાં ૨૦૦૨ના કોમી રમખાણો સાથે જાેડાયેલા કેસમાં બનાવટી પુરાવા ઉભા કરવા અને ષડયંત્ર સર્જવા સહિતના આરોપમાં હાલ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસમાં એક નવો ધડાકો થયો છે. ગુજરાત સરકાર દ્વારા સામાજીક કાર્યકર તિસ્તા શેતલવાડ રાજયનાં નિવૃત ડીજીપી આર.બી.કુમાર તથા પુર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે દાખલ કરાયેલા કેસમાં હવે સામાજીક કાર્યકર્તા તિસ્તા શેતલવાડ વિરુદ્ધ દાખલ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે કે શેતલવાડે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા રાજયના અધિકારીઓ અને અન્યને ફસાવવા માટે જે સોગંદનામા ઉભા કર્યા હતા. તેમાં કોંગ્રેસના અધ્યક્ષના સલાહકાર અહમદ પટેલ પાસેથી બે તબકકે રૂા.૩૦ લાખ મેળવ્યા હતા અને આ નાણાનો ઉપયોગ કરીને શેતલવાડે તત્કાલીન મુખ્યમંત્રીને બદનામ કરવા તથા કોંગ્રેસના ઈશારે રાજય સરકાર સામે કાર્યવાહી થાય તેવા પ્રયત્ન કર્યા હતા. સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તિસ્તા શેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતા કરાયેલા સોગંદનામામાં એક સાક્ષીના નિવેદન પરથી જણાવાયું કે તિશ્તાનો રાજકીય ઉદેશ તે સમયની ગુજરાત સરકારને બરખાસ્ત કરાવવાનો હતો.
આ ષડયંત્ર કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના ઈશારા પર કરવામાં આવ્યું હતું અને તે માટે તિશ્તા સેતલવાડને બે તબકકામાં રૂા.૩૦ લાખની રકમ ચૂકવાઈ હતી. સોગંદનામામાં જણાવાયું હતું કે શેતલવાડે આ કાવતરાના ભાગરૂપે શરુઆતથી ગોધરા ટ્રેન કાંડના થોડા દિવસમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ ફરી અમદાવાદના શાહીબાગના સર્કીટ હાઉસમાં બંને મળ્યા હતા અને તેમાં અહમદ પટેલની સૂચના મુજબ તિશ્તાને રૂા.૨૫ લાખ આપવામાં આવ્યા હતા. આમ તિશ્તાએ બે વખત અહેમદ પટેલ પાસેથી નાણા લઈને ગુજરાત સરકારને બદનામ કરવાની કાર્યવાહી કરી હતી. ગુજરાત સરકારે રચેલી ખાસ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કરાયેલા સોગંદનામામાં સાક્ષીને ટાંકીને જણાવાયું હતું કે તિસ્તા શેતલવાડે કોંગ્રેસના તે સમયના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સાથેની બેઠકમાં શા માટે જાવેદ અખ્તર અને શબાના આઝમીને રાજ્યસભામાં નિયુક્ત કરવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠાવીને તેને રાજ્યસભાની બેઠક આપવા પણ માગણી કરી હતી.