સવેરા ગુજરાત,અમદાવાદ:ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો સાથ મળશે તો કોંગ્રેસની જીત નક્કી થઇ જશે અને કોંગ્રેસની જ સરકાર બનશે તેવો દાવો પાર્ટીના નેતા સુખરામ રાઠવાએ કર્યો છે.વર્ષાંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો રણનીતિ ઘડવા લાગ્યા જ છે. લેઉવા પટેલ સમાજના ધર્મસ્થાન બનેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકીય એન્ટ્રીનો ઇશારો કર્યો હોવાથી તમામ પક્ષો તેને પોતાની પાર્ટીમાં લેવા માટે મથી રહ્યા છે તેવા સમયે કોંગ્રેસનાં વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ વલસાડની જાહેરસભામાં એમ કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થશે તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત નક્કી થઇ જશે.આ તકે સુખરામ રાઠવાએ એમ પણ કહ્યું હતું કે નરેશ પટેલ ધાર્મિક વ્યક્તિ છે. કોંગ્રેસ નેતાગીરી તેમને પાર્ટીમાં સામેલ કરવા પ્રયાસ કરી રહી છે. તેઓ કોંગ્રેસમાં સામેલ થાય તો પાર્ટી મજબૂત થવાનું સ્પષ્ટ છે. સુખરામ રાઠવાએ કહ્યું કે નરેશ પટેલના પ્રવેશના સંજોગોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.
નરેશ પટેલ મુખ્યમંત્રીનો ચહેરો હશે ? તેવા સવાલના જવાબમાં રાઠવાએ એમ કહ્યું કે, મુખ્યમંત્રીના ચહેરા વિશેનો નિર્ણય કેન્દ્રીય મોવડી મંડળ કરશે. એક વાત નક્કી છે કે નરેશ પટેલ ક્યારેય ભાજપમાં નહીં જાય.આ તકે સુખરામ રાઠવાએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપને આખી સરકાર બદલી નાખવાની ફરજ પડી હતી. ભાજપમાં સામેલ થયેલા મૂળ કોંગ્રેસ કેટલાક ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો પણ તેઓએ નિર્દેશ કર્યો હતો. ભાજપના કેટલાક વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો પણ સંપર્કમાં છે. ભાજપના જે ધારાસભ્યોને ટીકીટ મળે તેમ નથી તેઓઐ કોંગ્રેસની નજીક આવી રહ્યા છે.