સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૪
ગુજરાતની ચૂંટણીની તમામ રાજકિય પક્ષો દ્વારા આગવી રણનિતી ઘડવામાં આવી રહી છે અને દિલ્હીના અનેક નેતાઓ ગુજરાતનો વારંવારનો પ્રવાસ પણ ખેડી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને પ્રિયંકા ગાંધી દ્વારા દિલ્હીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા તૈયારી વધુ ઝડપી બનાવવામાં આવી હોય તેમ ગુજરાતના સિનિયર નેતાઓને દિલ્હી તેડાવવામાં આવ્યા છે અને પ્રિયંકા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં અત્યંત મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી છે જેમાં ચૂંટણી પ્રચાર સમિતિથી માંડીને ચૂંટણી ઢંઢેરા ઉપરાંત નેતાઓની જવાબદારીના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. કોેંગ્રેસના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં કોઇ કસર ન રહે તે માટે તમામ પ્રક્રિયા આગોતરી જ કરી લેવાનો કોંગ્રેસ હાઈકમાન્ડનો વ્યૂહ હોય તેમ ગુજરાતના નેતાઓને દિલ્હી તેડાવવામાં આવ્યા છે.
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા તથા પ્રભારી રઘુ શર્મા ઉપરાંત અન્ય ત્રણેક સિનિયર નેતાઓને મિટીંગ માટે તેડુ મોકલવામાં આવ્યું હતું અને તેઓ ગઇકાલે રાત્રે જ દિલ્હી પહોંચી ગયા હતા. સુત્રોએ જણાવ્યું છે કે બેઠકનો એજન્ડા વિધાનસભાની ચૂંટણીનો જ હોવાનું સ્વાભાવિક છે. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી ઉપરાંત પી. ચિદમ્બરમ તથા કે.સી. વેણુગોપાલ હાજર રહેવાના છે. અન્ય કોઇ રાષ્ટ્રીય નેતાઓ સામેલ થાય તેવી પણ શક્યતા નકારાતી નથી. ગુજરાતની ચૂંટણી વિષયની બેઠકમાં પ્રિયંકા ગાંધીની હાજરીને પણ અત્યંત સૂચક ગણવામાં આવી રહી છે. બેઠકમાં ચૂંટણી તૈયારીની ચર્ચા થવાની સાથોસાથ પ્રચાર કમિટી, ચૂંટણી ઢંઢેરા, સંકલન, બુથ મેનેજમેન્ટ, તાલુકા વાઇઝ બેઠકોમાં કોંગ્રેસની સ્થિતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે. આ સિવાય વિધાનસભા બેઠક દીઠ વિસ્તાર અને જ્ઞાતિ આધારિત કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવે તેવા સંકેત છે. શહેરી વિસ્તારોમાં કંગ્રેસનો કોઇ ખાસ પ્રભાવ રહ્યો નથી અને બહુ જુજ બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ છે. તેને ધ્યાને રાખીને શહેરી વિસ્તારોની બેઠકો મુદ્દે ખાસ મંથન કરવામાં આવે તેવી શક્યતા છે. સુત્રોના કહેવા પ્રમાણે અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થતો હતો પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી કરી છે અને તેના દ્વારા પણ જાેરશોરથી પ્રચાર અને તૈયારી કરવામાં આવી રહી છે. ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલ ખુદ મેદાને આવ્યા છે અને ટૂંંકાગાળામાં ત્રણવખત ગુજરાતની મુલાકાત લઇ લીધી છે. શિક્ષણ-વીજળી અને આરોગ્ય જેવા પાયાના મુદ્દાઓને પ્રચારના ફોકસમાં લીધા છે. આ સંજાેગોમાં કોંગ્રેસની રણનીતિ મહત્વપૂર્ણ બની જાય છે.