નવી દિલ્હી:
નેશનલ હેરલ્ડ કેસમાં આજે કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેકટરની પુછપરછ માટે હાજર થયા છે. એક દશકા જૂના કેસમાં ગાંધી કુટુંબના બે વરિષ્ઠ સભ્યો પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સામે મની લોન્ડ્રીંગ એકટ હેઠળ તપાસ ચાલુ છે. આજે સવારે રાહુલ ગાંધીના નિવાસે પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના સીનીયર નેતાઓ રાહુલના નિવાસે પહોંચ્યા હતા.
બાદમાં રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેકટરની ઓફીસે પહોંચવા રવાના થયા હતા. આ અગાઉ પોલીસે કોંગ્રેસ વડામથકથી ઈ.ડી. ઓફિસ સુધીના માર્ગે સીલ કરી દીધા છે. આજે આ કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગના સીનીયર અધિકારીઓએ 55 પ્રશ્નો તૈયાર રાખ્યા હોવાના સંકેત છે અને રાહુલની પુછપરછ આગામી 2-3 દિવસ સુધી ચાલી શકે છે.
નેશનલ હેરલ્ડ કેસમાં મની લોન્ડ્રીંગ એકટ સહિતના આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરની પુછપરછ માટે હાજર થવાના હતા તે પુર્વે કોંગ્રેસ પક્ષે દિલ્હીમાં તેઓ કોંગ્રેસ વડામથકથી એનફોર્સમેન્ટ ડિરેકટરની કચેરી સુધી સત્યાગ્રહ- માર્ચ યોજવા કરેલા પ્રયાસો નિષ્ફળ બનાવી પોલીસે ધરપકડ દૌર ચલાવી કોંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.એક દશકા જૂના નેશનલ હેરલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી અને પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પુછપરછ માટે સમન્સ પાઠવાયા છે. જેમાં સોનિયા ગાંધી કોરોનાના કારણે હાલ સારવાર હેઠળ હોવાથી તેઓને તા.23 જૂનના રોજ હાજર થવાનું છે.
આજે સવારથી જ રાહુલ ગાંધીના નિવાસ અને કોંગ્રેસ વડામથક આગળ પક્ષના વરિષ્ઠ નેતાઓની કાર્યકર્તાઓએ દેખાવો શરૂ કર્યા હતા. જો કે પોલીસે રાહુલ ગાંધીના આગમન પુર્વે જ સમગ્ર રૂટ સીલ કરી દીધો હતો તથા વધારાના સુરક્ષાદળો પણ ગોઠવાય છે. બીજી તરફ કોંગ્રેસ શાસનના રાજયોના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોટ તથા શ્રી ભુપેન્દ્ર બધેલ પણ દિલ્હીમાં રાહુલ ગાંધીના સમર્થનમાં ઉતર્યા છે.
પોલીસે કોંગ્રેસ વડામથક બહાર કિલ્લેબંધી જેવી વ્યવસ્થા કરી છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ સમગ્ર માર્ચ શાંતિપૂર્ણ રહેશે તેઓ દાવો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચીન પાઈલોટ પણ દિલ્હી પહોંચી ગયા હતા અને સત્યાગ્રહ માર્ચમાં જોડાયા હતા. બીજી તરફ કોંગ્રેસ પક્ષે દેશભરમાં 25 શહેરોમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરની ઓફિસ સામે ધરણા કર્યા છે.
આજે નેશનલ હેરલ્ડ કેસમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ વિભાગ સમક્ષ પુછપરછ સમયે જે રીતે દિલ્હી અને દેશભરમાં પક્ષ દ્વારા દેખાવો, ધરણા તથા વિરોધ પ્રદર્શન થયા છે તેમાં ભાજપે પ્રશ્ન ઉઠાવતા કોંગ્રેસ પક્ષને શેનો ડર છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો. ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ એક આકરા શબ્દોમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ ભ્રષ્ટાચારની ઉજવણી કરી રહી છે.
આ કોઈ રાજકીય કેસ નથી. નેશનલ હેરલ્ડની મિલ્કતો એક ખાનગી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે અને ગાંધી કુટુંબે પ્રશ્નોનો સામનો કરવો જોઈએ. ગાંધીજીએ સત્ય માટે લડત આપી અને સત્યાગ્રહ કર્યો અને આ ગાંધી નેશનલ હેરલ્ડ કેસમાં જામીન પર છે પછી તેઓને કોઈ વિરોધ હોવો જોઈએ નહી.