પુણે તા.13
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાના હત્યાકાંડમાં ફરાર શાર્પ શુટર સંતોષ જાધવની પુણે પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી છે. પુણે ગ્રામ્ય પોલીસે શુટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કર્યા બાદ તેને મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના 20 જૂન સુધીના રિમાન્ડ મંજુર થયા છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ પોલીસે સંતોષ જાધવની સાથે નવનાથ સુર્યવંશીની પણ ધરપકડ કરી લીધી છે.
સંતોષ જાધવ 23 વર્ષનો છે. તે અંબંગાંવ તાલુકાના આદિવાસી વિસ્તારના પોખરી ગામનો વતની છે અને તે મંચરમાં રહેતો હતો. સંતોષ જાધવના પરિવારમાં માતા, બહેન, પત્ની અને પુત્રી છે.
રણ્યા ઉર્ફે ઓમકાર બાંખિલેની 1 ઓગષ્ટ 2021ના મંચર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. સંતોષ જાધવ સામે હત્યામાં સંડોવણીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પણ સંતોષ જાધવ સામે મંચર પોલીસ સ્ટેશનમાં ખંડણી અને ચોરીનો ગુનો પણ નોંધાયો છે.
સચીન બિશ્નોઈ ગેંગે ગાયક-કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા પર હુમલો કરવા માટે મહારાષ્ટ્રમાંથી બે શાર્પ શુટર બોલાવ્યા હતા તેમાં મહાકાલ ઉપરાંત સંતોષ જાધવ પણ હતા. સંતોષ જાધવની પુછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવવાની શકયતા છે.