સવેરા ગુજરાત/રાજકોટ:- તોડકાંડમાં-હવાલાકાંડમા બદનામ થયેલી રાજકોટ પોલીસનો વધુ એક વિવાદમાં સામે આવ્યો છે. આ વખતે આરોપ છે કે, ઢોલરા ગામની જમીનનો સાટાખત રદ્દ કરવા જામનગરના યુવકને ઉઠાવવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાળા કલરની સ્કોર્પિયો કારમાં યુવકને ઉઠાવવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જામનગરના કુમાર પ્રવીણભાઈ કુંભારવાડિયાએ આરોપ લગાવ્યો છે કે, ઢોલરા ગામની કિંમતી જમીનનો સાટાખત રદ્દ કરવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જામનગરથી કાળા કલરની સ્કોર્પિયો કારમાં તેમને બેસાડી દીધા હતા. ભોગ બનનાર કુમાર કુંભારવાડિયાને રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી લાવવામાં આવ્યા હતા.
ભોગ બનનાર યુવકને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કહ્યું સમાધાન કરવા દબાણ કર્યું હતું, એટલું જ નહીં ફરિયાદી યુવક કુમાર કુંભારવાડિયાને બાલાજી હોલ પાસે વકીલ જયેશ બોધરાની ઓફિસમાં કોરા કાગળો પર સહી કરવા કહેવામાં આવ્યું હતું. જોકે ફરિયાદીએ સહી નહિ કરતા મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. સહી કરી આપતા જ રૂ.200 ભાડું આપી બધા જ જતા રહ્યા હતા. આમ જે રીતે આરોપો લાગી રહ્યા છે તેને લઈ રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં કૌભાંડો જ થતા હોય તેવી છાપ ઉપસી છે. પોલીસ રક્ષક નહીં ભક્ષકની ભૂમિકા ભજવી રહી હોય તેવી ચર્ચા થઇ રહી છે.