સવેરા ગુજરાત,રાજકોટ,તા.૪
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ગૃહ વિભાગના આદેશ અનુસાર વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તો સાથે જ વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે જરૂરીયાત મંદોને લોન આપવાની કામગીરી પણ શહેર પોલીસ તેમજ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે રાજકોટ શહેર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા જરૂરિયાત મંદ વ્યક્તિઓને તેમના દ્વારા કરવામાં આવેલ અરજી અનુસાર મંજૂર થયેલ ધિરાણના ચેક આપવામાં આવશે.રાજકોટ શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં વ્યાજખોરો વિરુદ્ધ કુલ ૫૯ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જે અંતર્ગત ૭૪ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ બે વ્યક્તિઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે.વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ તેમજ તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ જરૂરિયાતમંદોને લોન અપાવવાનું કામ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૧૫૦૦ જેટલા લોન વાંચ્છુક વ્યક્તિઓએ તેમાં ભાગ લીધો હતો. ૧૫૦૦ પૈકી ૧૨૮૨ જરૂરિયાત મંદ માણસોને ૩ કરોડ ૪૫ લાખથી પણ વધુ રકમનું ધિરાણ મેળવનાર છે. ૬ વ્યક્તિઓને ગોલ્ડ લોન, ૨ વ્યક્તિઓને હોમ લોન, ૧૫ વ્યક્તિઓને મુદ્રા લોન, ૫ વ્યક્તિઓને પર્સનલ લોન, ૩ વ્યક્તિઓને એગ્રીકલ્ચર લોન જ્યારે કે ૧૨૪૬ વ્યક્તિઓને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન મળનાર છે. ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ધિરાણ મેળવનાર વ્યક્તિઓને ચેક આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે રાજકોટ શહેરમાં રવિભાઈ ઝાપડા નામના વ્યક્તિ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરવામાં આવી હતી. જે મામલે તાલુકા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
previous post