સવેરા ગુજરાત,માંડલ,તા.૩1
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હીનાં નાણાંકીય સહયોગથી કઠોળ સંશોધન કેન્દ્ર , સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા માંડલ તાલુકાના રીબડી ગામે તા. ૨૮ ડિસેમ્બરના રોજ ખેડૂત દિનની ઉજવણી કરવામાં આવી હતી.
કઠોળ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતી ” AICRP On Pigeon pea ” યોજના હેઠળ તુવેર પાકના ફ્રન્ટલાઈન નિદર્શન ખરીફ ૨૦૨૨ અંતર્ગત ખેડૂત દિનમાં ૧૦૦ ખેડૂતોએ ભાગ લીધો હતો. સંશોધન વૈજ્ઞાનિક ડૉ.એમ.પી.પટેલ ના અધ્યક્ષ સ્થાને ખેડૂત દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાક નિદર્શન તેમજ તુવેરના પાકના વધુ ઉત્પાદન મેળવવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.પી.આર પટેલ દ્વારા તુવેર પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ખેડૂત દિનની ઉજવણી અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોએ જુદા જુદા ખેતરની મુલાકાત લઈ તુવેરના વધુ ઉત્પાદન અને નિદર્શનની વિગતો અંગે જીણવટભરી ચર્ચા કરી હતી એમ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.