કોલકાતા, તા.૩
આગામી ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને એકજૂટ કરવાના અભિયાનને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીની તાજેતરની જાહેરાતથી મોટો આંચકો લાગશે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિપક્ષી દળ સાથે ગઠબંધન કરવાની શક્યતાઓને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી એકલી જ લડશે. અમે ૨૦૨૪માં લોકો અને અમારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતું જાેઈશું. અમે કોઈ અન્ય રાજકીય પક્ષ કે લોકો સાથે ગઠબંધન નહીં કરીએ. અમે લોકોના ટેકાની તાકાત પર એકલા આ ચૂંટણી લડશું.ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં, તેમણે કહ્યું, “જેઓ ભાજપને હરાવવા માગે છે, હું માનું છું કે તેઓ અમારી તરફેણમાં મત આપશે. ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી પણ યોજાઇ હતી જેમાં પ.બંગાળમાં ખાતુ ખોલાવતા કોંગ્રેસે ડાબેરીઓના ટેકા સાથે એ બેઠક જીતી લીધી હતી. તેમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં મમતા બેનરજી અકળાયા હતા અને તેમણે આ મામલે કોંગ્રેસ પર જ ભાજપ સાથે સાંઠગાંઠ કરી હોવાનો આરોપ મૂક્યો હતો. પશ્ચિમ બંગાળની સાગરદિઘી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી ટીએમસી નેતા સુબ્રત સાહાના નિધનને કારણે યોજાઈ હતી. અહીંથી ટીએમસીએ દેબાશીષ બેનર્જી, ભાજપને દિલીપ સાહા અને કોંગ્રેસે બાયરન બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે ટીએમસી પાસેથી આ સીટ છીનવી લીધી છે. કોંગ્રેસના બાયરન બિસ્વાસ ટીએમસીના દેબાશીષ બેનર્જીને હરાવીને ધારાસભ્ય બન્યા છે. બંગાળમાં કોંગ્રેસ બે વર્ષ પછી ખાતું ખોલવામાં સફળ રહી છે. પાર્ટીને ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી.