સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૦
ફરી એકવાર ચીન કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. કોવિડ-૧૯ના નિયંત્રણો હળવા કર્યા બાદ ચીનમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થયો છે. માત્ર ચીન જ નહીં, યુરોપ સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રોગચાળાના નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી ૯૦ દિવસમાં ચીનના ૬૦ ટકાથી વધુ અને પૃથ્વીની ૧૦ ટકા વસ્તી સંક્રમિત થવાની સંભાવના છે અને લાખો લોકો મૃત્યુ પામી શકે છે.
ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ તો ત્યાં સુધી કહ્યું છે કે જેને ચેપ લાગવો હોય તેને ચેપ લાગવા દો, જેને મરવાની જરૂર છે તેને મરવા દો. સ્વાસ્થ્ય નિષ્ણાતે એવો પણ દાવો કર્યો છે કે હવે ચીનમાં સંક્રમિત લોકોની સંખ્યા એક દિવસમાં બમણી થઈ શકે છે.સૌથી મોટી ચિંતા એ છે કે શું ભારત ફરી એકવાર કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે? આ સવાલનો જવાબ કોવિડ ૧૯ વર્કિંગ ગ્રૂપ નેટજીના પ્રમુખ એનકે અરોરાએ આપ્યો છે. તેમણે કહ્યું, ‘અમે સાંભળી રહ્યા છીએ કે કોવિડ ચેપ ચીનમાં વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે, જ્યાં સુધી ભારતની વાત છે, ભારતમાં મોટી સંખ્યામાં લોકોને કોવિડ સામે રસી આપવામાં આવી છે. રસીઓ ખાસ કરીને પુખ્ત વસ્તી માટે રજૂ કરવામાં આવી છે.
એનકે અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે ઈન્સાકોગડેટા દર્શાવે છે કે વિશ્વમાં દરેક જગ્યાએ જાેવા મળતા ઓમિક્રોનના લગભગ તમામ પેટા વેરિયન્ટ ભારતમાં જાેવા મળે છે, એવા ઘણા પેટા પ્રકારો નથી જે અહીં પ્રચલિત ન હોય. તેમણે વધુમાં કહ્યું કે ચીનની સ્થિતિ પર ચાંપતી નજર રાખવી જરૂરી છે, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાથી ગભરાવાની જરૂર નથી.