સવેરા ગુજરાત ,અમદાવાદ, તા.5 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબકકાનું આજે મતદાન થયું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ ઉપર વધુ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તો ચૂંટણી પંચ ભાજપના ખોળે બેસી ગયાનો જબરો આક્ષેપ કર્યો છે.નરોડા ખાતે મતદાન કર્યા બાદ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે ઉતર અને મધ્ય ગુજરાતમાં જયાં કોંગ્રેસની બેઠકો છે ત્યાં ખુબ ધીમુ મતદાન થયું છે. ચૂંટણી પંચ ભાજપના ખોળે બેસી ગયું છે. બીજા તબકકામાં કોઇ પ્રકારના ભય, ડર વગર ભાજપે તાનાશાહી અને ગુંડાગીરીથી મતદાન ધીમુ થાય તેવા પ્રયાસો કર્યા છે. ચૂંટણી પંચ તેમાં સાથે છે. તમામ જગ્યાએ ભાજપના ગુંડાઓ અને લુખ્ખાઓએ આતંક મચાવ્યો છે. આ વાતાવરણમાં પ્રજા મતદાન કરી રહી છે.કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી પર ગઇકાલે જીવલેણ હુમલો થયો હતો. સાડા ત્રણ કલાક સુધી ઉમેદવાર અને કાર્યકરો મળતા ન હતા. રાત્રે દોઢ વાગ્યે ગાંધીનગરમાં ચૂંટણી અધિકારી પાસે રજુઆત કરવા ગયા છતાં કોઇ મળ્યું ન હતું. ફોન પર વાત કરીને જયાં સુધી ઉમેદવાર ન મળે ત્યાં સુધી ગાંધીનગરના બંગલે આમરણ અનશન કરવા ચિમકી આપી હતી. તે બાદ અઢી વાગ્યે આસપાસ કાંતિભાઇ અને અર્જુનભાઇ વચ્ચે સંપર્ક થયો હતો.તેમણે કહ્યું હતું કે પહેલા તબકકામાં 63 ઇવીએમ બંધ પડયા હતા તેનું શું? ધીમુ મતદાન કોંગ્રેસના બુથ પર થતું હોવાની ફરિયાદોનો કોઇ નિકાલ થતો નથી. પોલીસ પણ ભાજપના ઇશારે ધાકધમકી આપે છે. આમ છતાં ગુજરાતની પ્રજા આ વખતે 1રપ સીટ આપીને કોંગ્રેસી સરકાર બનાવશે અને ભાજપને પાઠ ભણાવશે. દાણીલીમડાના એક બુથ ઉપર ખુબ ધીમુ મતદાન થયું હતું .