નવીદિલ્હી, તા.15
દુનિયાની દિગ્ગજ કંપનીઓમાંથી કર્મચારીઓને છૂટા કરવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. અમેરિકાની ટેક્નોલોજી અને ઈ-કોમર્સ દિગ્ગજ કંપની અમેઝોને વધી રહેલી આર્થિક મંદી વચ્ચે પોતાના ગેર-લાભકારી કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કરી દીધું છે. અમેઝોન આ રીતે હજારો કર્મચારીઓને છૂટા કરવાનું તેમજ ખર્ચમાં કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે કેમ કે રિપોર્ટ પ્રમાણે પાછલો ત્રિ-માસિક ગાળો તેના માટે લાભકારક રહ્યો નથી. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે કંપની આ સપ્તાહની શરૂઆતમાં 10,000 જેટલા કર્મચારીઓને છૂટા કરી શકે છે.
જો આ સંખ્યા 10,000ની આસપાસ રહે છે તો તે અમેઝોનના ઈતિહાસની સૌથી મોટી સંખ્યા હશે. જો કે કંપનીના કાર્યબળના 1%થી પણ તે ઓછા છે કેમ કે અમેઝોન વૈશ્ર્વિક સ્તરે 16 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે. નોકરીમાં કાપ અમેઝોનની ડિવાઈસ યુનિટ પર કેન્દ્રીત હશે જેમાં વોઈસ આસિસ્ટન્ટ એલેક્સા અને તેના રિટેઈલ તેમજ માનવ સંશાધન ડિવિઝન સામેલ છે.
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે અમેઝોને એક મહિનાની લાંબી સમીક્ષા બાદ અમુક લાભહિન એકમોના કર્મચારીઓને કંપનીની અંદર અન્ય અવસરોની તલાશ કરવા માટે કહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે અમેઝોન પોતાના એલેક્સા વ્યવસાયનું બારીકાઈથી મૂલ્યાંકન કરી રહ્યું છે અને હાલ તેના પર વિચાર કરી રહ્યું છે કે શું તેને વોઈસ આસિસ્ટન્ટમાં નવી ક્ષમતાઓને જોડવાની કોશિશ પર ધ્યાન દેવું જોઈએ જે વિવિધ પ્રકારના અમેઝોન ઉપકરણો ઉપર ઉપલબ્ધ છે.
આ રિપોર્ટ ઈ-કોમર્સ દિગ્ગજ દ્વારા વ્યસ્ત રજાઓની સીઝનમાં વિકાસમાં મંદીની ચેતવણીના થોડા જ દિવસો બાદ આવ્યો છે. આ એવો સમય હતો જ્યારે સૌથી વધુ વેચાણ થતું હોય છે. અમેઝોને કહ્યું કે આવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે વધી રહેલી કિંમતોના કારણે ગ્રાહકો અને વ્યવસાયિકો પાસે ખર્ચ કરવા માટે પૈસા ઓછા છે.
previous post
next post