સવેરા ગુજરાતઅમદાવાદ 24
ભારત એક તહેવારોનો દેશ છે. ભારત દેશમાં બધાજ ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઊજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. એમાં પણ દિવાળી ભારતના લોકોનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. દિવાળીના તેહવારમાં ચોપડા પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આગામી વર્ષ લાભદાયી અને ફળદાયી નીવડે તે માટે પૂજન કરવામાં આવે છે. ધંધા રોજગારની વૃદ્ધિ માટે પણ ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે.
આજે ચોપડાના પૂજન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આજના યુગ પ્રમાણે ચોપડાની સાથે લેપટોપનું પૂજન કરવામાં આવે તો પણ સરખું જ ફળ પ્રાપ્ત થાય છે. ચોપડામાં હિસાબ લખવામાં આવે કે લેપટોપમાં હિસાબ લખવામાં આવે તે બંનેનું સરખું ગૌરવ છે. મુખ્ય વાત એ છે કે, ભગવાનને સંભારીને હિસાબ લખીએ તો આર્થિક રીતે સુખી થવાય છે.
આપણા ભારતમાં દિવાળીના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું તથા ચોપડાનું પૂજન કરાય છે. ચોપડા પૂજનમાં કંકુ, કેસર, કસ્તુરી, હળદર આદિમાં ઝબોળીને દાડમની કલમથી ચોપડા લખવાની પરંપરા છે. ચોપડાપૂજન વખતે બાજુમાં મોરના પીંછાંને મૂકવામાં આવે છે.
નવા વર્ષમાં સૌમાં નીતિમત્તા, પ્રમાણિકતા,ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઉદય થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સૌ પૂજન, અર્ચન, આરતી – આરાધના કરે છે. માણસ વર્ષ દરમ્યાન કેટલો નફો – નુકશાન થયો તેનો હિસાબ માંડે છે. તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ. અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબદ્ધ બનવું જોઈએ. એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે. જો લાંચ-રૂશ્વત લઈશું તે આપણા ઉધાર ખાતામાં જમા થશે માટે સૌ કોઈએ સત્કાર્યો કરવા જોઈએ.
શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે, સહુ કોઈને ધંધા – વેપારમાં સફળતા મળે. આર્થિક અને શારીરિક રીતે સૌ સુખી થાય. સારાય ભારતની પ્રજાની આર્થિક મંદી દૂર થાય. સૌને ભગવાન, સુખી કરે અને ધર્મ ભકિતમય અને નીતિમય જીવન જીવવાની દિવ્ય બળ, બુદ્ધિ અને શકિત પ્રદાન કરે.