સવેરા ગુજરાતઅમદાવાદ 26
દિવાળીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નૂતન વર્ષના પાવન અવસરે સર્વાવતારી, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ખાસ ભોગ પણ ધરવામાં આવ્યો હતો.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમહાલ જિલ્લામાં આવેલ વાઘજીપુર, મોરડુંગરા, ધાંધલપુર, હરકુંડી, રાણીપુરા વગેરે શ્રી સ્વામિનારાયણ મંદિરો
દ્વારા નૂતનવર્ષે અન્નકૂટનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. જેમાં પારંપરિક મીઠાઈ-ફરસાણ ધરાવવામાં આવ્યા છે. ભગવાનને અન્નકૂટ ધરાવ્યા બાદ તેના દર્શન માટે દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. ભક્તોએ અન્નકૂટની આરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.
વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતાં મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજ જીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે. તેમણે દિપાવલીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી છે.