“સવેરા ગુજરાતઅમદાવાદ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના વિશાળ પરિસરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞા અન્વયે સંતભકત વૃંદ દ્વારા કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવેલ છે. રંગોળીનો સંબંધ રંગો સાથે છે. જુદા-જુદા રંગોથી એનર્જી મળે છે. શરીરની પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી સકારાત્મક અથવા નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તમામ નેગેટિવ એનર્જીને જીવનમાંથી દૂર કરવા તેમ જ આવનારા સમયને ખુશીથી ભરી દેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત રંગોળી પાડવાથી કૉન્સન્ટ્રેશન વધે છે અને મગજનો વિકાસ થાય છે.
ઘરના પ્રવેશદ્વાર પાસે રંગોળી પાડવાનાં કેટલાંક વૈજ્ઞાનિક કારણો છે. બિંદુઓને જોડીને પાડવામાં આવતી રંગોળીમાં ભૂમિતિ અને ભૌતિકશાસ્ત્રના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ પૅટર્ન ધ્વનિ તરંગોનો સંકેત આપે છે. આંગણે આવનારી વ્યક્તિ જ્યારે આ જ્યોમેટ્રિકલ પૅટર્ન જુએ છે ત્યારે તેના મગજમાં પોઝિટિવ વાઇબ્રેશન થાય છે. આવનારા મહેમાનો પોઝિટિવ એનર્જી લઈને પ્રવેશે એવા ઉદ્દેશથી પ્રવેશદ્વાર પર રંગોળી પાડવામાં આવે છે.
મંદિરના વિશાળ પરિસરમાં ૫૦x૫૦ માં “રાષ્ટ્રીય વિરાસત”ની થીમ પર શ્રી નીલકંઠ વર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાંચ ફૂટની મૂર્તિ, વિવિધ પ્રકારના દુર્લભ વાસણો, પર્યાવરણ રક્ષણ, સદ્ગ્રંથોની માનવ જીવનમાં અગત્યતા, મોબાઈલ રૂપી ડાકણ કરે માતૃત્વ ભક્ષણ વગેરેનું દિશાસૂચન કરતી રંગોળી ની સજાવટ કરવામાં આવી છે. જેમાં ૨૫૦ કિલો કરતાં વધુ વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ, રંગોળી એ ધાર્મિક, સંસ્કૃતિ તથા આસ્થાનું પ્રતિક છે અને વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ભારતીય સંસ્કૃતિની વિરાસતતાને જાળવવા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સતત સક્રિય છે. આવી રંગોળીની કલાત્મક અભિવ્યક્તિના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી રહ્યા છે.