રાજકોટ,તા. 4
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયે સુરતમાં એક મોટા અપસેટમાં મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા હતા અને આ મહાનગરમાં કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો હતો. પરંતુ હવે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં જે રીતે એક પછી એક નેતાઓ ખસકી રહ્યા છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ‘આપ’ને જરા પણ સફળતા ન મળી તે પછી આ પક્ષને હવે બીજો મોટો ફટકો લાગે તેવી શક્યતા છે.
એક તરફ સુરતમાંથી મહેશ સવાણી સહિતનાં અનેક પાટીદારો અગ્રણીઓએ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું છે અને અન્ય નેતાઓ પણ ખડવા લાગ્યા છે. હાલમાં જ ગાયક કલાકાર વિજય સુવાળા સહિતના અનેકએ પણ ‘આપ’ની ટોપી છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. તે સમયે હવે સુરતમાં આજે આમ આદમી પાર્ટીના ઓછામાં ઓછા પાંચ કોર્પોરેટરો તેમના રાજીનામા આપી રહ્યા છે અને તેઓ ભાજપમાં જોડાઈને ફરી એક વખત કમળના નિશાન પર ચૂંટણી લડે તેવી ધારણા છે. આજે પક્ષમાં ભંગાણ પડી રહ્યું છે
તેવા ખબર મળતા જ આમ આદર્મી પાર્ટીના અનેક અગ્રણીઓ મ્યુનિ. કમિશનર પાસે દોડી ગયા હતા અને ભાજપ દ્વારા ધાકધમકીથી તેના સભ્યોને રાજીનામા આપવા માટે મજબૂર કરાયા હોવાનો જણાવ્યું હતું. જો કે ભાજપે હજુ આ અંગે મૌન સેવ્યું છે પણ સુરતમાં આમ આદમી પાર્ટીનાં 27માંથી 5 કોર્પોરેટર ખડતા તેની સંખ્યા 22ની રહેશે અને ટૂંક સમયમાં જ તેમાંથી મોટાભાગનાં કોર્પોરેટરો ભાજપમાં ભળી જાય તેવી શક્યતા નકારાતી નથી.
‘આપ’ના આ કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ રહ્યા છે
વોર્ડ નં. 5-મનીષ કુકડીયા
વોર્ડ નં. 8 જ્યોતિકા લાઠીયા
વોર્ડ નં. 16 વિપુલ મોવેલિયા
વોર્ડ નં. 3 રુક્તા કાકડીયા
વોડ નં. 2 ભાવના સોલંકી