સવેરા ગુજરાત, અમદાવાદ તા.૦૪
આવનારા દિવસોમાં કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક. રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો આજે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ? ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શાળા નંબર-૨, નારણપુરા ગુજરાતી શાળા નંબર-૬, ઘાટલોડિયા શાળા નંબર-૨ અને થલતેજ શાળા નંબર-૨નું આ પ્રસંગે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઈ- લોકાર્પણ બાદ માનનીય મંત્રી અને મહાનુભાવોએ ગાંધીનગર શાળા નંબર-૨ ની મુલાકાત લઈને સ્માર્ટ શાળા નિહાળી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી આ અનુપમ શાળાઓ ખરેખર રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી આપે છે. કુલ ૨૨ જેટલી અનુપમ શાળાઓનું કામકાજ પૂર્ણ થયું છે જેમાંથી આજે ૪ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ? ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ નો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ ૩૨૦૦ જેટલા બાળકોને મળશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનાં શાસનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે એમ અમિત ભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉમેર્યું કે લગભગ દરેક ક્ષેત્રે લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું છે. રાજ્યમાં બીજેપીના શાસન પેહલા પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા હતો જે બીજેપીના શાસન બાદ ઘટીને ૩ ટકાથી પણ નીચે પહોંચ્યો છે. પહેલા દર ૧૦૦ માંથી ૬૭ બાળકો જ શાળામાં દાખલ થતાં હતાં એટલે કે ૪૦ ટકા બાળકોને જ પ્રાથમિક શિક્ષણ મળતું હતું જે આજે ૯૫ ટકાથી પણ વધારે સુધી પહોચ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના આપણા દુરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના અથાગ પ્રયત્નો અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી, ટીચર્સ ટ્રેનિંગ જેવા નવતર અભિગમોના ભાગરૂપે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણ રૂપ છે. સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ બન્યું છે. બાળક ના શિક્ષણ નું સ્તર કેવી રીતે ઉપર લાવવું એ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર સુપેરે જાણે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાપિત સુદૃઢ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજનાં ગુજરાતનાં યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી તેમજ રાજ્યમાં ક્યાંય કોઈ કોમી રમખાણો કે અજંપાની સ્થિતિ નથી. આજે રાજ્ય ની દીકરીઓ ખુલ્લે આમ ક્યાંય પણ કોઈપણ સમયે હરીફરી શકે છે જે રાજ્યની ઉત્તમ સુરક્ષા વ્યવસ્થાની સાબિતી છે.નરેન્દ્રભાઈએ ગુજરાતની ધુરા સાંભળ્યા બાદ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, સુરક્ષા, ઊર્જા સહિતના તમામ ક્ષેત્રે રાજ્ય એ વિકાસની અવિરત યાત્રા આરંભી છે. આજે ગામડાઓમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજળી મળે છે. ગુજરાતની ૨૦ વર્ષ થી ચાલતી વણથંભી વિકાસયાત્રા હજુ પણ આમ જ ચાલતી રહેશે જે અંગે સરકાર પ્રતિબદ્ધ છે.