નવી દિલ્હી,તા.30 : સર્વોચ્ચ અદાલતે એક મહત્વના નિર્ણયમાં ગુજરાતના 2002ના કોમી રમખાણો તથા 1992ના બાબરી મસ્જીદ ધ્વંસ અંગેના તમામ કેસો બંધ કરી દીધા છે. આજે સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતના વડપણ હેઠળની ખંડપીઠે આ નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે બંને ઘટનાઓમાં લાંબા સમય પછી કોઇ કાર્યવાહીનો અર્થ નથી અને મોટાભાગના કેસોમાં અદાલતી પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે. અને તેથી હવે આ કેસ બંધ કરી દેવામાં આવ્યા છે.સર્વોચ્ચ અદાલત સમક્ષ રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશન દ્વારા રમખાણનાં કેસોની યોગ્ય તપાસ સહિતની 10 જેટલી રિટ અરજીઓનો આજે નિકાલ કર્યો હતો. આ અરજીઓમાં એનજીઓ, સિટીઝન ઓફ જસ્ટીસ એન્ડ પીસ ઉપરાંત રમખાણના કેટલાક અસરગ્રસ્તો મારફત કરાયેલી અરજીઓનો પણ સમાવેશ થતો હતો. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતના વડપણ હેઠળ ત્રણ સભ્યોની ખંડપીઠે આજે આ તમામ રિટ અરજીઓનો નિકાલ કરતાં જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી અને તેમાં 9 કેસોની કાર્યવાહી થઇ છે અને 8 કેસોમાં ટ્રાયલ પણ પૂરી થઇ ગઇ છે. અને તેમાં ચૂકાદા આપી દેવાયા છે. ફક્ત એક નરોડા ગામનો જે કેસ છે તે પેન્ડીંગ છે.અને તે આખરી દલીલના તબક્કે છે અને બાકીના તમામ કેસોનો નિકાલ ગુજરાત હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે નિરીક્ષણ વ્યક્ત કર્યું કે હવે આ તમામ બાબતો કોઇ મહત્વ ધરાવતી રહી નથી. અને તેથી સુનાવણીનો કોઇ અર્થ નથી.અદાલતનું એ મંતવ્ય છે કે સર્વોચ્ચ અદાલત આ પ્રકારના કોઇપણ કેસને હવે સાંભળશે નહીં અને ગુજરાત રમખાણના તમામ કેસોનો આ સાથે નિકાલ કરવામાં આવે છે. જો કે નરોડા ગામ અંગેની જે ટ્રાયલ છે તેનો કાનૂનની પ્રક્રિયા મુજબ આગળ ચાલશે તેમ છતા સર્વોચ્ચ અદાલત દ્વારા જે ખાસ તપાસ ટીમ રચવામાં આવી છે તે તે અંગે નિર્ણય લેશે. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી ગુજરાત રમખાણ કેસની તમામ કાનૂની પ્રક્રિયાનો અંત આવી ગયો છે.અને ફક્ત એક નરોડા ગામ કેસનો પણ ટૂંક સમયમાં અંત આવી જશે તેવા સંકેત છે.બાબરી મસ્જીદ ધ્વસ્ત અંગેના તમામ કેસ અને પ્રક્રિયા પણ હવે બંધ સુપ્રિમ કોર્ટમાં નવા મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીત દ્વારા લાંબા સમયથી પેન્ડીંગ રહેલા મહત્વના કેસોમાં હાથ ધરાઇ રહેલી સુનાવણી વચ્ચે હવે 1992નાં બાબરી મસ્જીદ ધ્વંસ સંબંધી તમામ કેસ પણ બંધ કરી દીધા છે અને તેમાં હવે સર્વોચ્ચ અદાલતમાં કોઇ કાર્યવાહી થશે નહીં. સુપ્રિમ કોર્ટે જ અગાઉ રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ કેસમાં પોતાનો ચૂકાદો આપી દીધો છે અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ પણ શરુ થઇ ગયું છે તે સ્થિતિમાં હવે આ પ્રકારના કેસની સુનાવણીનો અર્થ નહીં હોવાનું પણ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું.