નવી દિલ્હી,તા. 29
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી માસમાં ફરી બે વખત ગુજરાતની મુલાકાતે આવી શકે છે. રાજ્યમાં એક તરફ ચૂંટણીનું વાતાવરણ વધુને વધુ સર્જાઇ રહ્યું છે તે વચ્ચે શ્રી મોદીની મફુલાકાત વધી રહી છે. ગઇકાલે જ તેઓ કચ્છ અને ગાંધીનગરની મુલાકાત લઇ ગયા બાદ તા. 11 સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપનું એક વિશાળ સંમેલન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાય તેવી ધારણા છે.
તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે. તા. 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકનો કાર્યક્રમ પણ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા મનાવાશે અને તેમાં પણ વિશાળ કક્ષાએ આયોજન થઇ રહ્યું છે પરંતુ માનવામાં આવે છે કે તા. 11 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત નિશ્ચિત છે અને તે માટે યુવા ભાજપ દ્વારા પણ તૈયારી કરવામાં આવી રહી છે.
જો કે આ સંમેલન અમદાવાદમાં યોજવું કે વડોદરામાં તે અંગે હજુ પણ વિચારણા થઇ રહી છે પરંતુ સંમેલન મોટાભાગે અમદાવાદમાં જ યોજાશે અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં એક લાખ વિદ્યાર્થીઓ કે જેઓ મતદાર બની ચૂક્યા છે તથા શિક્ષકો અને પ્રાધ્યાપકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.