નવીદિલ્લી,તા.૨૭
સ્ટેન્ડઅપ કૉમેડિયન અને લોકઅપ વિનર મુનવ્વર ફારૂકીનો ૨૮ ઓગસ્ટે દિલ્લીમાં યોજાનાર શો રદ કરવામાં આવ્યો છે. દિલ્લી પોલીસે મુનવ્વર ફારૂકીના શોને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. દિલ્લી પોલીસે કહ્યુ છે કે મુનવ્વર ફારૂકીનો શો આ વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દને અસર કરશે. વિશ્વ હિન્દુ પરિષદના દિલ્લી પ્રમુખ સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ શો સામે વાંધો ઉઠાવ્યા બાદ દિલ્લી પોલીસે તેને મંજૂરી આપી ન હતી. રિપોર્ટ મુજબ વિહિપ દિલ્લીના અધ્યક્ષ સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ આ મામલે દિલ્લી કમિશનરને પત્ર લખ્યો હતો. દિલ્લીના કમિશનરને લખેલા પત્રમાં સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ હૈદરાબાદમાં તાજેતરની અથડામણો માટે મુનવ્વર ફારૂકી પર આરોપ મૂક્યો હતો અને કહ્યુ હતુ કે તે તેના શોમાં હિન્દુ દેવતાઓની મજાક ઉડાવે છે. વિશ્વ હિંદુ પરિષદે દિલ્લી પોલીસને લખેલા પત્રમાં શોને રદ કરવાની વિનંતી કરી છે અને જાે શો થશે તો વિરોધ કરવાની ચેતવણી આપી છે. મુનવ્વર ફારૂકીનો શો ડૉ. એસપીએમ સિવિક સેન્ટર, કેદારનાથ સાહની ઑડિટોરિયમ ખાતે બપોરે ૨થી ૯.૩૦ વાગ્યા સુધી યોજાવાનો હતો. આ એક ખાનગી રીતે આયોજિત શો હતો જેના માટે અગાઉ પરવાનગી આપવામાં આવી હતી. ૨૦૨૧માં મુનવ્વર ફારૂકીની ધરપકડ બાદથી મુનવ્વરના શો શહેરના પોલીસ દળો માટે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બની ગયા છે. ગયા અઠવાડિયે તેનો બેંગલુરુ શો રદ કરવામાં આવ્યો હતો. જાે કે તેણે કહ્યુ હતુ કે તે તેના સ્વાસ્થ્યના કારણોસર રદ કરવામાં આવ્યો છે. તેનો બેંગ્લોર શો રદ થયાના એક દિવસ પછી મુનવ્વર ફારૂકીએ ભારે સુરક્ષા હેઠળ હૈદરાબાદમાં શો કર્યો હતો.