સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૧
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. તમામ પાર્ટીઓ ચૂંટણી માટેની તૈયારી કરી રહી છે. તેવામાં શનિવારે રાત્રે મોટા સમાચાર સામે આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા છીનવી લેવામાં આવ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો છીનવી લેવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા રાજ્યની કેબિનેટમાં આ ફેરફારે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
કેબિનેટમાં બે સીનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા છીનવ્યા બાદ કોંગ્રેસે સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદ યોદી હતી. મનીષ દોશીએ કહ્યુ કે, ૨૦૧૭માં અનેક વાયદાઓ કરીને સત્તા મેળવનાર ભાજપે ભ્રષ્ટાચાર ચાલુ રાખ્યો. થોડા સમય પહેલા સમગ્ર મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું હતું. પરંતુ ભાજપે ભ્રષ્ટાચારનો સિલસિલો જાળવી રાખ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે ભાજપ જે મંત્રીના વખાણ કરતું હતું, જેઓ રેડ કરતા હતા. તેણમે ખેડામાં જમીન મામલે ભ્રષ્ટાચાર કર્યો છે. મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે મહેસૂલ મંત્રીની કઈ-કઈ ચીઠ્ઠી હાથ લાગી કે તેમને હટાવી દેવામાં આવ્યા. તો પૂર્ણેશ મોદી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે જાે મંત્રીએ ખાડા પૂર્યા તો કેમ હટાવવામાં આવ્યા.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ કે, મહેસૂલ વિભાગ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી કેમ લેવામાં આવ્યો તેનો જવાબ જનતા જાણવા માંગે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ક્યા ખેડૂતની જમીન કોના નામે કરી છે. તેમણે કહ્યું કે બે મંત્રીઓના વિભાગ બદલવાથી ભ્રષ્ટાચાર રોકાશે નહીં. તેમણે કહ્યું કે ભાજપનું ચરિત્ર લૂંટ પર આધારિત છે. આ બંને મંત્રીઓ પાસેથી ખાતા લઈ લેવાની ચર્ચા ૧૦ દિવસથી હતી. પૂર્ણેશ મોદી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે રોડ અને બિલ્ડિંગના કોન્ટ્રાક્ટ આપવામાં તેમણે પોતાના માનીતાઓને ગોઠવ્યા હતા. મોટા પાયે નોટનો ખેલ ચાલતો હતો. કોંગ્રેસે કહ્યું કે સુરતમાં ચાલતી હરિફાઈનો ભોગ પૂર્ણેશ ભાઈ બન્યા છે? તેમણે કહ્યું કે અનેક મંત્રીઓના કાચા ચિઠ્ઠા ખુલ્લા પડે તેવું હતું.