સવેરા ગુજરાત, રાજકોટ તા. ૩
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુકત જાતિના લોકો સહિત વંચિત, છેવાડાના માનવી, અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવી વિચરતી જાતિઓને પાણી, લાઇટ, રસ્તાની સુવિધા સાથે પાકા આવાસ, તેમના બાળકોને શિક્ષણ અને અન્ય માળખાકીય સુવિધા આપવામાં સરકાર સદાય તત્પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના રામપરા બેટીમાં વિચરતી અને વિમુકત જાતિના ૬પ પરિવારોને ‘‘વગડામાંથી વ્હાલપની વસાહત’’ અંતર્ગત આવાસોની ફાળવણી કરી હતી. રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૯ પ્લોટ ધારકોને સનદ વિતરણ અને ૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચોરસ મીટર જમીનના પ્લોટ આવાસ બાંધકામ માટે તેમણે અર્પણ કર્યા હતા. રાજ્ય સરકાર વિચરતી વિમુકત જાતિઓના ઘરવિહોણા લોકો સહિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગને મકાન બાંધકામ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અન્વયે રૂ. ૧.ર૦ લાખની સહાય આપે છે. રાજ્યમાં વિચરતી-વિમુકત જાતિના ર૪,૩પર લાભાર્થીઓને આવી આવાસ સહાયના કુલ ૧૧૦ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં ચુકવવામાં આવ્યા છે. રાજકોટમાં ‘‘વગડામાંથી વ્હાલપની વસાહત’’માં જે ૬પ આવાસો નિર્માણ થયા છે તેમાં પણ આવાસ દીઠ ૧.ર૦ લાખની આવી સહાય આપવામાં આવેલી છે.
ભૂપેન્દ્ર પટેલે ઉજ્જવલા યોજના અન્વયે ર૯ જેટલા ગેસ સિલીન્ડર કિટ ઉપરાંત આટકોટ ખાતે પોલીસ માટે રૂ. ૬૪૮.૭૦ લાખના ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ મવડી હેડ ક્વાર્ટર ખાતે રૂ. ૧૪૪૩.૬૦ લાખના ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે રામપરા બેટી ખાતે સેનિટરી પેડનું વિતરણ કરતા વેન્ડિંગ મશીનનું લોકાર્પણ અને શુદ્ધ પાણી પૂરું પાડતા ૬૫૦ આર.ઓ. મશીનનું પણ લોકાર્પણ કર્યું હતું. રાજકોટ જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરીયા તેમજ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં સરકારની કોઇ પણ યોજનામાં નાનામાં નાના, ગરીબ, વંચિત, છેવાડાના અંતરિયાળ વિસ્તારોના લોકોને સરળતાથી લાભ પહોચાડવાનું આયોજન કેન્દ્રસ્થાને હોય છે. ખાસ કરીને એવી જાતિઓ જેની પાસે પોતાનું કોઇ કાયમી આવાસ-રહેઠાણ નથી તેમને પાકું આવાસ મળે, તેમના બાળકો આવી આવાસ વસાહતોમાં રહિને સારું શિક્ષણ મેળવી શકે તેની નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે તેની પણ વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાનામાં નાના માનવીને પાયાની સગવડો આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ર૦૦૫ થી આવી આવાસોની અને વિનામૂલ્યે જમીન પ્લોટ ફાળવણી યોજના શરૂ કરાવેલી છે. વિચરતી જાતિના લોકોને કોઇના ઓશિયાળા રહેવું ન પડે તે માટે આવાસ સાથે ગરિમા પણ આપી છે. તેમણે આવા આવાસ ફાળવણી, સનદ વિતરણના કાર્યક્રમોને છેવાડાના માનવીની સુખ-સુવિધાની ખેવના કરતા અને તેમના માટે કંઇક કરી છૂટવાના આત્મસંતોષના કાર્યક્રમ ગણાવી રાજકોટ જિલ્લા વહિવટીતંત્રને આ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.