સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૧
ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા સતત તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી તૈયારીના ભાગ રૂપે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજથી રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ છે. મતદાર યાદી સુધારણામાં જે વ્યક્તિએ નવું મતદાન કાર્ડ કઢાવવાનું હોય કે કોઈ ફેરફાર કરાવવાનો હોય તે વ્યક્તિ જરૂરી પૂરાવા લઈને સુધારા કરાવી શકે છે.
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મળેલી માહિતી અનુસાર ગુજરાતભરમાં આજથી મતદાર સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૧ ઓગસ્ટ, ૨૦૨૨ રવિવાર, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ રવિવાર, ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ રવિવાર અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ રવિવાર એટલે કે આજથી સતત ચાર રવિવાર સુધી મતદાર સુધારણા કાર્યક્રમ ચાલવાનો છે. પ્રાપ્ત વિગત અનુસાર જે વ્યક્તિએ નવું ચૂંટણી કાર્ડ કઢાવવાનું હોય અથવા તો ચૂંટણી કાર્ડમાં જરૂરી ફેરફાર કરાવવાનો હોય તે વ્યક્તિ પોતાના વિસ્તારની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શકે છે. જ્યાં સવારે ૧૦ કલાકથી સાંજે ૫ કલાક સુધી આ કામ હાથ ધરવામાં આવશે. જે વ્યક્તિએ ચૂંટણી કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવાનો હોય અથવા જેણે નવું ચૂંટણી કાર્ડ કઢાવવાનું હોય તે વ્યક્તિએ આધાર કાર્ડ (ઝેરોક્ષ), શાળાનું લિવિંગ સર્ટિફિકેટ (ઝેરોક્ષ), ઘરના કોઈ એક સભ્યનું ચૂંટણી કાર્ડ (ઝેરોક્ષ) અને એક પાસપોર્ટ ફોટો લઈને જવાનું રહેશે. વ્યક્તિ ઉપર આપેલા ત્રણમાંથી કોઈ એક જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને સાથે પાસપોર્ટ ફોટો લઈને ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવી શકે છે.