ભરતપુર તા.૨૩
ગેરકાયદે ખનનના વિરોધમાં અગ્નિસ્નાન કરનાર સાધુ વિજયદાસનું શુક્રવારની રાત્રે દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું છે. તેમનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો છે. જિલ્લાના ડીગ ક્ષેત્રમાં આદિબદ્રી ધામ અને કનકાંચલમાં થઈ રહેલા ગેરકાયદે ખનનના વિરોધમાં સાધુ-સંતો આંદોલન કરી રહ્યા હતા. ૨૦ જુલાઈએ મોટી સંક્યામાં સાધુ-સંતો વિરોધમાં જાેડાયા હતા. દરમિયાન આંદોલન સ્થળે સંત વિજયદાસ (ઉ.વ.૬૫) એ અગ્નિસ્નાન કર્યું હતું. પોલીસ અને અન્ય લોકોએ તેમને ધાબળામાં લપેટી લીધા હતા અને આરબીએમ હોસ્પીટલે દાખલ કરાયા હતા, પણ તેમની હાલત ગંભીર હોવાથી પહેલા જયપુર અને બાદમાં દિલ્હી ખસેડાયા હતા, જયાં શુક્રવારે તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. સંતોનું કહેવું છે કે તેમણે ૧૦૦થી વધુ વાર સેંકડો ધારાસભ્યો અને મંત્રીઓને ગેરકાયદે ખનન રોકવા રજૂઆત કરેલી પણ તે મામલે કાર્યવાહી નથી થઈ. સંત વિજયદાસના આત્મદાહ બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે ૧૫ દિવસમાં આદિબદ્રી ધામ અને કનકાંચલ પર્વત ક્ષેત્રને વનક્ષેત્ર જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.