નવી દિલ્હી,તા. 17
પેટ્રોલ-ડીઝલના રીટેઇલ ભાવની સરખામણીએ બલ્ક ભાવ ઉંચા છે અને જથ્થાબંધ ગ્રાહકો પર રીટેઇલ પેટ્રોલ પંપોમાંથી ઇંધણ ભરાવવા લાગતા કંપનીઓએ નિયંત્રણાત્મક પગલા લીધા છે તેવા સમયે દેશના અનેક રાજ્યોમાં ઇંધણની અછતની સ્થિતિ સર્જાઇ છે. પંજાબ,હરિયાણા, ઉતરાખંડ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં છેલ્લા ત્રણેક દિવસથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો નજરે ચડવા લાગી છે. પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાની અફવાને કારણે આ પ્રકારની લાઇનો ખડકાવા લાગી હોવાનું કહેવાય છે. પેટ્રોલ પંપ એસોસિએસનોના હોદેદારો એવો નિર્દેશ છે કે તેલ કંપનીઓ માંગના પ્રમાણમાં સપ્લાય આપતી નથી અને તેને કારણે ક્યારેક અછતની હાલત ઉભી થઇ જાય છે. એમ પણ કહેવાય છે કે પેટ્રોલ પંપોને ૮ કલાક ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવશે. રાજસ્થાનમાં સેંકડો પંપોમાં ડીઝલનું વેચાણ બંધ થઇ ગયું છે અને અછતની સ્થિતિ સર્જાઇ છે.
એચપીસીએલ અને બીપીસીએલ દ્વારા પેટ્રોલ-ડીઝલની સપ્લાય રોકી દેવામાં આવી છે તેને કારણે ૨૫૦૦ પેટ્રોલ પંપોમાં તાળા લાગી જાય તેવી સ્થિતિ છે. રાજ્યનાં પેટ્રોલીયમ ડીલર તરફથી આ મામલે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રાલયનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ઉતરાખંડનાં હરિદ્વાર જેવા કેટલાક શહેરોમાં પેટ્રોલ ખત્મ થયાની વાત ફેલાતાની સાથે જ લોકોએ પેટ્રોલ પંપો પર કતારો લગાવી દીધી હતી. અમુક સ્થળોએ તો લોકોને કાબૂમાં લેવા માટે પોલીસ પણ બોલાવવી પડી હતી. લોકોનો ધસારો થતા અને જરુર કરતા વધુ ઇંધણ ભરાવા લાગતા અનેક પેટ્રોલ પંપોમાં માલ ખલાસ થઇ ગયો હતો. ઉતરપ્રદેશનાં કૈરાના સહિતના કેટલાક શહેરોમાં બે દિવસથી પેટ્રોલ-ડીઝલની અછત હોવાનું કહેવાય છે. કંપનીઓને રીટેઇલ વેચાણમાં ૧૬ થી ૨૩ રુપિયાની ખોટ થતી હોવાના કારણે કંપનીઓ સપ્લાય ઘટાડી રહ્યાનું કહેવાય છે. હિમાચલ પ્રદેશમાં પણ સમાન પરિસ્થિતિ છે. શિરમોર, નાહન, ખાદરી સહિતના શહેરોમાં પેટ્રોલ પંપોમાં સપ્લાય નથી અને લોકોને પેટ્રોલ-ડીઝલ મળતું નથી. અમુક પંપોએ ઇમરજન્સી સેવાઓ માટે ઇંધણ અનામત રાખી દીધું છે.મધ્યપ્રદેશમાં પણ ડીમાંડ પ્રમાણે પેટ્રોલ-ડીઝલ મળતું ન હોવાના કારણે મોટો દેકારો બોલી ગયો છે. અનેક શહેરોમાં પેટ્રોલ પંપોમાં ‘માલ નથી’ના બોર્ડ લાગી ગયા છે. ચોમાસાના આગમન સાથે કૃષિ ક્ષેત્રની ડીમાંડમાં પણ મોટો વધારો થતાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે.પેટ્રોલ પંપ સંચાલકોના કહેવા પ્રમાણે વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ ઘણા વધી ગયા છે. તેલ કંપનીઓને મોટી ખોટ થઇ રહી છે. બલ્ક ગ્રાહકો માટે ભાવ ઉંચા છે પરંતુ આવા ગ્રાહકો પણ રીટેઇલ પંપો પરથી પેટ્રોલ-ડીઝલ આંચકી જતાં હોવાથી તેલ કંપનીઓએ પેટ્રોલ પંપોને સપ્લાયમાં કાપ મુક્યો છે. આ તમામ કારણોથી સપ્લાયને અસર થઇ છે.
previous post