સવેરા ગુજરાત/ગાંધીનગર તા.9
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે જ જે રીતે વાતાવરણ ગરમ થઈ ગયું છે અને ભાજપની સામે સ્પર્ધા કરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને તૈયાર થઈ છે તે વચ્ચે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરેલા વિધાનથી હવે ચૂંટણીનું ફોકસ રાજયમાં શૈક્ષણિક સંસ્થાઓની હાલત ખાસ કરીને સરકારી શાળાઓ અને કોલેજોની સ્થિતિ પર ‘આપ’ લઈ જાય તેવા સંકેત છે.વાઘાણીએ જેમને ગુજરાતનું શિક્ષણ સારુ ન લાગતુ હોય તે રાજય બહાર જઈ શકે છે તેવું વિધાન કર્યુ તેને આમ આદમી પાર્ટીએ ચૂંટણી થીમ બનાવવાની કોશીશ કરી છે અને દિલ્હીનું શિક્ષણ મોડેલ ગુજરાતમાં રજુ કરીને રાજયમાં પોતાનો ચૂંટણી એજન્ડા નિશ્ચિત કરશે તેવા સંકેત છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી જેઓ શિક્ષણ વિભાગનો હવાલો પણ સંભાળે છે તેઓ સોમવારે અમદાવાદ આવી રહ્યા છે અને રાજયની કેટલીક સરકારી શાળાઓની મુલાકાત લેશે તેવું જાહેર કર્યુ છે અને તેમણે એવું પણ કહ્યું છે કે હું આશા રાખું છું કે 27 વર્ષથી જે રાજય સરકાર જે સતામાં છે તેને ચોકકસપણે શિક્ષણ માટે સારુ કર્યુ હશે અને હું તે જોવા જઈ રહ્યો છું અને જો તેઓની શિક્ષણમાં સારી કામગીરી નહી હોય તો પછી ગુજરાતની જનતાએ નકકી કરવાનું છે કે તેઓને અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડેલ જોઈએ છે કે કેમ અમોએ દિલ્હીમાં જે કામ કર્યુ છે તે ગુજરાતમાં રજુ કરશું
મનીષ સીસોદીયાએ આ જાહેરાત કરતા જ ગુજરાતનું પોલીસ તંત્ર અને શિક્ષણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને સીસોદીયાના પ્રવાસ પર નજર રાખે છે. જો કે આમ આદમી પાર્ટીએ સીસોદીયા કઈ શાળાની મુલાકાતે જશે તે જાહેર કર્યુ નથી પણ સોમવારે અમદાવાદમાં નવી ધમાલની શકયતા થઈ શકે છે.