Savera Gujarat
Other

કોંગ્રેસ-‘આપ’નું જોડાણ-નરેશ પટેલ ચહેરો : ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જશે નવી ફોર્મ્યુલા

સવેરા ગુજરાત/ગાંધીનગર ,તા. 9
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વર્ષમાં રાજકીય કાવાદાવા અત્યારથી શરુ થઇ ગયા છે અને રાજ્યભરમાં સૌથી મોટી ઉત્તેજના ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના રાજકીય એન્ટ્રીના નિર્ણય પર છે તેવા તબક્કે નવી જ રાજકીય ફોર્મ્યુલા આકાર પામી રહી હોવાના આધારભૂત સંકેતો સાંપડયા છે. જે મુજબ કોંગ્રેસ અને ‘આપ’ ચૂંટણી જોડાણ કરે અને નરેશ પટેલ તેનો સંયુક્ત ચહેરો જાહેર થાય.રાજકારણના ચાણક્ય અને રણનીતિકાર એવા પ્રશાંત કિશોરે આ દિશામાં મધ્યસ્થી કરી છે અને આ મામલે બંને પાર્ટીની નેતાગીરી વચ્ચે સેતુરુપ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં મોટી વસતી ધરાવતા અને રાજકારણમાં નિર્ણાયક પરીબળ સાબિત થતા લેઉવા પટેલ સમાજનાં આસ્થાના પ્રતિક સમા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ લેવાનો ગર્ભિત ઇશારો જાહેર કર્યા બાદ તેઓ કયા પક્ષ સાથે જોડાશે તે વિશે લાંબા વખતથી અટકળો ચાલી રહી છે અને તમામ પાર્ટીના રાજકીય આગેવાનોથી માંડીને સામાન્ય વર્ગમાં પણ ઉત્તેજના છવાયેલી છે.
ખુદ નરેશ પટેલે એવું જાહેર કર્યું છે કે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ અને કયા પક્ષ સાથે જોડાવું તે વિશે ખોડલધામની જ રાજકીય સમિતિ રાજ્યવ્યાપી સર્વે કરી રહી છે અને તેના નિર્ણયના આધારે ફેંસલો લેશે. તેઓએ અગાઉ જ એવું સ્પષ્ટ કરી દીધું હતું કે સમાજની હા હોય તો જ પોતે રાજકારણમાં એન્ટ્રી કરશે.ખોડલધામના રાજકીય સર્વે વચ્ચે નરેશ પટેલ છેલ્લા કેટલાક વખતથી જુદા-જુદા રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હોવાથી કયા પક્ષમાં જોડાશે તે વિશે સસ્પેન્સ સર્જાયો છે. ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ એમ ત્રણેય પક્ષના નેતાઓ વખતોવખત એવું જાહેર કરી ચૂક્યા જ છે કે નરેશ પટેલ તેમની સાથે જોડાવાના છે. જો કે, અંતિમ ફેંસલો શું હશે તે વિશે હજુ સસ્પેન્સ જ રહ્યું છે. તેવા સમયે અત્યંત આધારભૂત વર્તુળોએ એવો નિર્દેશ આપ્યો છે કે, કોંગ્રેસ અને ‘આપ’નું ચૂંટણી જોડાણ કરાવવા સાથે નરેશ પટેલને સંયુક્ત ચહેરો બનાવવા માટેની નવી ફોર્મ્યુલા આકાર પામી છે અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે બીડુ ઝડપીને મધ્યસ્થી કરી છે.બંને પાર્ટીના નેતાઓ સાથે આ ફોર્મ્યુલા સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ ફોર્મ્યુલા સફળ થાય તો તેવા સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો રાજકીય ધમાકો થવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરને રણનીતિ સોંપવા માટે નરેશ પટેલે જ અગાઉ કોંગ્રેસ નેતાગીરી પર દબાણ સર્જીને સફળતા મેળવી હોવાનું કહેવાય છે અને હવે પ્રશાંત કિશોર મારફત જ નવી ફોર્મ્યુલા પર બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.કોંગ્રેસ-આપના જોડાણ કરાવવા પાછળ એવો તર્ક દર્શાવવામાં આવી રહ્યો છે કે વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાય તો કોંગ્રેસના મત ‘આપ’ના ઉમેદવારો કાપે અને ભાજપને તેનો સીધો ફાયદો થઇ જાય. ભાજપ સામે સીધો પડકાર સર્જવા અને તેને સતામાં આવતો રોકવા માટે સંયુક્ત લડાઇ જરુરી છે અને તો જ નિર્ણાયક પરિણામ આવી શકે છે. સુત્રોએ કહ્યું કે, બંને પક્ષોના નેતાઓ આ તર્ક સાથે સહમત છે અને એટલે જ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ મામલે આવતા થોડા દિવસોમાં જ નિર્ણાયક ફેંસલો થઇ જવાની શક્યતા છે.

Related posts

ગુજરાતના મોરબીમાં પણ યુક્રેન જેવી સ્થિતિ ? ત્રણ મહિલાઓ ચાલીને જઈ રહી હતી અને મોત ઉપરથી ઉડતુ આવ્યું

saveragujarat

બેંકોએ પાંચ વર્ષમાં ૨.૦૩ લાખ કરોડ રૂપિયા વસૂલ કર્યા

saveragujarat

પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ગુરુવારે ભાજપના ભંગવા રંગમાં રંગાશે

saveragujarat

Leave a Comment