સવેરા ગુજરાત/ગાંધીનગર તા.1:ગુજરાતમાં વહેલી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તેને લઈને દરેક પક્ષોના નેતામાં દોડધામ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના આમ આદમી પાર્ટી પ્રેરિત મુખ્યમંત્રી ભગવંતસિંહ માન આજે રાત્રે 8-30 વાગ્યે અમદાવાદની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.દિલ્હી બાદ પંજાબ ફતેહ કર્યા બાદ કેજરીવાલ અને માનની ગુજરાતની બે દિવસની યાત્રા રાજકીય રીતે અનેક રીતે મહત્વની છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પગ પેસારાને લઈને અન્ય રાજકીય પાર્ટીઓ સાવધાન બની ગઈ છે. તો આમ આદમી પાર્ટીને લઈને અનેક સમીકરણો રચાઈ રહ્યા છે. આ સંજોગોમાં કેજરીવાલ અને માનની બે દિવસીય ગુજરાત યાત્રા અનેક રીતે મહત્વની બની છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીનો બે દિવસની યાત્રાનો કાર્યક્રમ જોઈએ તો તેઓ આજે રાત્રે 8-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે.રાત્રે 9 વાગ્યે તાજ લાઈન હોટેલ, સિંધુ ભવનમાં રોકાણ કરશે.
બીજા દિવસે તા.2 એપ્રિલે સવારે 10 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જયાં તેઓ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે, ત્યાર બાદ બપોરે 3-30 વાગ્યે હોટેલથી સીધા તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે. સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો કરશે. આ 1.5 કિલોમીટર સુધીના રોડ શોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિતના અંદાજે 50000 લોકો હાજર રહેશે. બીજા દિવસે એટલે કે તા.3જી એપ્રિલે સવારે 10 વાગ્યે કેજરીવાલ અને ભગવંત માન સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરશે.બાદમાં તેઓ રાજકીય, સામાજિક અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે, ત્યાર બાદ સાંજે 6 વાગ્યે દિલ્હી રવાના થશે. બન્ને નેતાઓની ગુજરાતની મુલાકાતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે. પોલીસની મંજૂરી મળ્યા બાદ રોડ શોની તૈયારી કરી દેવાઈ છે. બપોરની ગરમીને ધ્યાનમાં રાખીને દોઢ કિ.મી.ના રોડ શોને ટુંકાવી દેવાયો છે. આ રોડ શોમાં ‘આપ’નું શકિત પ્રદર્શન યોજાવાનું છે ત્યારે તેના પર ભાજપ અને કોંગ્રેસની નજર રહેશે.