નવી દિલ્હી,તા.૧૪
કેન્દ્ર સરકારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટિસ બી, ડાયાબિટીઝ જેવી ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત આપતા રાષ્ટ્રીય આવશ્યક ઔષધી સૂચિ (એનએલઈએમ) રવિવારે લાગૂ કરી દીધી છે. તેનાથી કેટલીય બિમારીઓની દવા સસ્તી થઈ જશે. તેમાં પેટેંટ દવાઓ પણ સામેલ છે. લગભગ સાત વર્ષ બાદ અપડેટ આ સૂચી ૧૩ સપ્ટેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરી હતી. તેને ૩૫૦થી વધારે નિષ્ણાંતોએ બનાવી અને કુલ ૩૮૪ દવાઓ સામેલ કરી છે. તેમાં ૪ એન્ટી કેંસર સહિત ૩૪ નવી દવાઓ છે. ૨૬ દવાઓ હટાવામાં આવી છે. ૨૦૧૫ની યાદીમાં ૩૭૬ દવા હતી. આ દવાઓ રાષ્ટ્રીય ઔષધી મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ તરફથી નક્કી ભાવથી વધારે કિંમતે વેચી શકાય નહીં.
ફક્ત ઈમરજન્સીની મંજૂરીમાં કોવિડની દવાઓ અને રસી આ યાદીમાં સામેલ નથી કર્યા. યાદીમાંથી બહાર રાખેલી દવામાં રેનિટિડીન, બ્લીચિંગ પાઉડર, વિટામિન સપ્લીમેંટ નિકોટિનામાઈડ સામેલ છે. એન્ટી-ડાયાબિટિક દવાઓ જેમ કે ટેનેલિગ્લિપ્ટિન, ઈંસુલિન ગ્લેરગીન ઈંજેક્શન, એન્ટીબાયોટિક્સ જેમ કે મેરોપેનમ, સેફુરોક્સિમ, સામાન્ય દુખાવા માટે અન્ય દવાઓ જેમ કે મોર્ફિન, આઈબ્રુફિન, ડાઈક્લોફિનેક, પૈરાસિટામોલ, ટ્રામાડોલ, પ્રિડનાઈઝોલોન, સર્પ વિષની દવાઓ, કાર્બામાઝેપાઈન, એલ્બેડાઝોલ, આઈવરમેક્ટિન, સિટ્રિજીન, એમોક્સિલિન, એન્ટી ટીબી દવા બેડાક્વિલિન અને ડેલામાનિડ, એન્ટી એચઆઈવી ડોલુટેગ્રાવિર, એન્ટી હેપેટાઈટિસ સી ડાક્લાટ્સવિર જેવી પેંટેંટ દવાઓ, નશાની આદત છોડાવનારી દવાઓ જેવી કે બુપ્રેનોરફિન, નિકોટીન રિપ્લેસમેંટ થેરેપી, હ્દય રોગ તથા સ્ટ્રોકમાં કામ કરનારી ડાબિગાટ્રાન અને ઈંજેક્શન ટેનેક્ટે પ્લેસ, ભારતમાં જ વિકસિત રોટાવાયરસની દવા આ યાદીમાં આ દવાઓ સામેલ કરી છે.