જામનગરમાં એક સપ્તાહ પહેલા ઝિમ્બાબ્વેથી આવેલ એક એનઆરઆઇ વૃદ્ધ કોરોના પોઝીટીવ હોવાથી અને તેને ઓમિક્રોન વેરિયન્ટનો ચેપ લાગ્યાનું જાહેર થયું હતું. ગુજરાતમાં આ વેરિયન્ટનો પ્રથમ કેસ હોવાથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.આ દર્દીના પત્ની અને જામનગર નિવાસી સાળા કોરોના પોઝીટીવ આવતા તે બન્નેને પણ ખાસ વોર્ડમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. જી.જી.હોસ્પિટલ દ્વારા આ બન્ને દર્દીના સેમ્પલ લઇને ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ બન્ને દર્દી પણ ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બન્યાનું આજે જાહેર કરવામાં આવ્યું છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલ સેટેલાઇટ સોસાયટીમાં રહેતા એક પરિવારને ત્યાં મહેમાન આવ્યા હતા. કોરોનાના ઘાતક કહેવાતા નવા વેરિયન્ટ ઓમિક્રોનની શકયતા જણાઇ હતી કેમ કે, આ મહેમાન જયાંથી આવ્યા છે તે સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં પણ આ વેરિયન્ટના કેસ નોંધાયા છે. આ મહેમાનમાં એક વૃદ્ધ, તેમના પત્ની અને પુત્રીનો સમાવેશ થતો હતો. વૃદ્ધમાં ઓમિક્રોન વેરિયન્ટ જણાતા તેમના સંપર્કમાં આવેલા 90થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ પરિવાર ઉપરાંત તે જયાં ઉતર્યા હતા તે મકાનની આસપાસ રહેતા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને સોસાયટીમાં આરોગ્ય તંત્રની ટીમે ડોર ટુ ડોર સર્વે પણ કર્યો હતો. આ કામગીરીનું નિરિક્ષણ કરવા ખુદ મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી અને આરોગ્ય અધિકારી ઋુજુતાબેન જોષી પણ વિસ્તારની મુલાકાતે ગયા હતા. જે શેરીમાં આ કેસ નોંધાયો છે તે શેરીને આડસ ઉભી કરી બંધ કરવામાં આવી હતી.
બે દિવસ બાદ એન.આર.આઇ વૃદ્ધના પત્ની અને તેના સાળાનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવતા તેઓને પણ ઓમિક્રોનની શંકાને આધારે ડેન્ટલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ રિલાયન્સની કોવિડ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તંત્ર દ્વારા આ બન્ને દર્દીના સેમ્પલ લઇ ઓમિક્રોનનો ચેપ છે કે કેમ ? તે જાણવા ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગરથી જામનગરના તંત્રને આજે સવારે આ બન્ને સેમ્પલનો રિર્પોટ ઓમિક્રોન પોઝીટીવ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ રિર્પોટને પગલે આરોગ્ય તંત્ર દ્વારા આ પરિવારના સંપર્કમાં અગાઉ આવી ચુકેલા લોકોને ટેલીફોનીક સંપર્ક કરીને કોઇ બિમારીના લક્ષ્ણ છે કે કેમ ? તેની પુછપરછ શરૂ કરવામાં આવી છે અને તાવ કે અન્ય કોઇ ગંભીર લક્ષ્ણ જણાઇ તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો અથવા હોસ્પિટલનો સંપર્ક કરવા સુચના આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝિમ્બાબ્વેથી આવનાર એનઆરઆઇ પરિવાર મુળ જામનગરનો વતની છે
પરંતુ લાંબા સમયથી તે ઝિમ્બાબ્વે સ્થાયી થયેલ છે. આ વૃદ્ધના સાળા જામનગરમાં ઉપરોકત સરનામે રહેતા હોવાથી તેઓ તેના મહેમાન બન્યા હતા. આ વૃદ્ધના સાળા તેમને અમદાવાદ એરપોર્ટ તેડવા ગયા હતા. આથી આ બન્નેના રિર્પોટ પણ ઓમિક્રોન વેરિયન્ટ પોઝીટીવ આવતા તેઓને પણ ખાસ ઉભા કરાયેલા ઓમિક્રોન વોર્ડમાં આઇસોલેટ કરીને સઘન સારવાર અપાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ઘરમાં આ મહેમાન ઉતર્યા હતા અને ઓમિક્રોન પોઝીટીવ નોંધાયેલ છે તે ઘરમાં ટયુશન ચાલતા હતા. ટયુશનમાં આવતા સાતેય બાળકોને શોધીને તેઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે સદ્ભાગ્યે નેગેટીવ આવ્યા હતા. આમ છતા તકેદારીરૂપે આ બાળકોના વાલીઓને પણ ટેલીફોન કરીને આજે ફરીથી સાવચેત કરવામાં આવ્યા છે અને જરૂર પડયે આરોગ્ય તંત્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવા સુચિત કરાયા છે. આમ અત્યાર સુધીમાં સત્તાવાર રીતે ઓમિક્રોનના નોંધાયેલ કેસનો આંક ત્રણ થયો છે.