સવેરા ગુજરાત/અમદાવાદ :સત્સંગ એટલે સત્ એવા ભગવાન, સત્ એવા શાસ્ત્રો અને સત્ એવા સત્પુરુષ – તેનો સંગ. સત્ એટલે જે સત્ય છે, અચળ છે, નિરંતર છે.’અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉં છુ _.’ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ થાય. તેણે સત્સંગને સૌથી અધિક જાણ્યો. જેમ વાંઝિયા રાજાને ઘડપણમાં દીકરો આવે, તે ગાળો દે, મૂછો તાણે, ગામમાં અનીતિ કરે, કોઈને મારે – રંજાડે પણ તેનો અભાવ તે રાજાને આવતો નથી, કારણ કે આત્મબુદ્ધિ થઈ છે – એવી આત્મબુદ્ધિ સંતમાં થાય તો સર્વથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો કહેવાય.સત્સંગ, સંગત, સારો સંગ, સત્સંગત વગેરે અનેક પર્યાય શબ્દો…સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા તેમની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરા આમ સમાજના આમૂલ પરિવર્તન માટે વિવિધ ભક્તિ નૃત્યો તથા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો – નાટકો સંતો અને હરિભકતો પાસે પ્રસ્તુતિ કરાવતા હતા. જેનાથી એક આદર્શ સમાજનું નિર્માણ થતું હતું.શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ, બાવળામાં સલુણી સંધ્યા ટાણે આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા સંતો અને હરિભકતોની ઉપસ્થિતિમાં અહીંના ભકતોએ “સંગત” ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિવિધ ભક્તિ નૃત્યોની અદ્ભૂત પ્રસ્તુતિ કરીને પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આ અણમોલા કાર્યક્રમને નિહાળવા બાવળા શહેરના નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય કાર્યક્રમ માણીને અનેક લોકોએ નિર્વ્યસની જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી.